મને સાજિદ-વાજિદ તરીકે જ સંબોધવામાં આવે એવી વિનંતી કરું છું : સાજિદ ખાન
મને સાજિદ-વાજિદ તરીકે જ સંબોધવામાં આવે એવી હું વિનંતી કરું છું : સાજિદ ખાન
સાજિદ ખાનનું કહેવું છે કે તેના ફૅન્સ તેને હજી પણ સાજિદ-વાજિદ કહીને બોલાવે એવી તેની ઇચ્છા છે. ગયા વર્ષે વાજિદ ખાનનું મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ બાદ સાજિદ ખાને તેના ચાહકોને પ્રૉમિસ કરી હતી કે તે હવે પહેલાં કરતાં વધુ મહેનત કરશે જેનાથી તેના મૃત્યુ પામેલા ભાઈને તેના પર ગર્વ થાય. આ વિશે સાજિદ ખાને કહ્યું હતું કે ‘વાજિદ જ્યારે હૉસ્પિટલમાં હતો ત્યારે તેને ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ શોની ચિંતા હતી. હું જ્યારે તેને હૉસ્પિટલમાં મળતો ત્યારે તે મને કહેતો કે આપણે આ શો માટે ઘણી મહેનત કરવી પડશે. તેણે મને કહ્યું હતું કે તેની તબિયત સારી ન હોવાથી તે પાછળથી મને આ શોમાં જૉઇન કરશે. તેણે મને આ શો અને સલમાનભાઈ સાથે રહીને કામ કરવા માટે કહ્યું હતું. એ અમારું સપનું હતું. મેં ક્યારેય વાજિદ વગર કોઈ શો નથી કર્યો. તેણે અમારા કૉમ્પોઝિશન માટે ઘણાં ગીતો ગાયાં છે, પરંતુ પહેલી વાર હું આટલા મોટા શોમાં તેના વગર આવ્યો છું. મને લાગે છે કે તે મારી સાથે જ છે. તે હંમેશાં મારી આસપાસ છે. તેના મારા પર ગર્વ થાય એવું મારા છેલ્લા શ્વાસ સુધી હું કામ કરતો રહીશ. હું મારા ફૅન્સ અને મીડિયાને વિનંતી કરું છું કે તેઓ મને સાજિદ-વાજિદ કહે, કારણ કે વાજિદ વગર હું કંઈ પણ નથી.’