આયેશા ઝુલ્કા: મારી પાસેથી વગર કારણે ફિલ્મો છીનવી લેવામાં આવી હતી
આયેશા ઝુલ્કા
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ લોકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી આયેશા ઝુલ્કા (Ayesha Jhulka) પણ સગાવાદનો ભોગ બની છે. અભિનેત્રીએ આડકતરી રીતે આ બાબત જણાવી છે. અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અચાનક ગાયબ થઈ ગઈ અને લગભગ છેલ્લા એક દાયકાથી લાઈમલાટથી દુર છે. પરંતુ તાજેતરમાં અભિનેત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યૂમાં આયેશા ઝુલ્કાએ જણાવ્યું હતું કે, કઈ રીતે તેને પ્રોડક્શન હાઉસમાંથી અચાનક ફોન આવતો અને કહેવામાં આવતું કે હવે તે ફિલ્મનો ભાગ નથી.
પિન્કવલાને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનેત્રી આયેશા ઝુલ્કાએ કહ્યું હતું કે, મેં એન ચન્દ્રા સાથે ફિલ્મ 'નરસિમ્હા' સાઈન કરી હતી. હું ફિલ્મના મુર્હત સમયે પણ હાજર હતી. આ ફિલ્મની વાત 'જો જીતા વહી સિકંદર' પહેલાંની છે. અચાનક મને પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે હવે હું ફિલ્મનો ભાગ નથી. કારણ જણાવ્યા વગર જ મને ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ સાંભળ્યા પછી મને બહુ દુ:ખ થયું હતું. 'નરસિમ્હા'માંથી કાઢવામાં આવી પછી તે પછી મેં 'જો જીતા વહી સિકંદર' સાઈન કરી હતી. આ દરમિયાન મારા પરિવારે મારો બહુ સાથ આપ્યો હતો. મેં 'રોઝા' જેવી ફિલ્મો માટે ના પાડી હતી. પરંતુ મને તેનો કોઈ અફસોસ નથી. કારણકે હું તારીખ એડજસ્ટ નહોતી કરી શકતી.
ADVERTISEMENT
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મને તો 'ફૂલ અને કાંટે' પણ ઓફર કરવામાં આવી હતી. એવુ નથી કે મને બધી જ ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હોય. મારી પાસે તારીખો નહોતી એટલે હું અમુક ફિલ્મો નથી કરી શકી. જે મારા નસીબમાં હતું તે મને મળ્યું. ક્યારેક મને થાય છે કે, અરે યાર પેલી ફિલ્મ કરી લીધી હોત કે આ ફિલ્મમાં હું હોવી જોઈતી હતી. અનેકવાર મેં મોટી ફિલ્મો માટે ના પાડી હતી અને પછી મને પસ્તાવો થયો હતો. પરંતુ 'નરસિમ્હા' મારા દિલની હંમેશા નજીક રહેશે. કારણકે મેં મારી કારર્કિદીની શરૂઆત જ કરી હતી અને મને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. મને શા માટે ફિલ્મમાંથી કાઢવામાં આવી તે મને હજી સુધી નથી ખબર. ત્યારે મને બહુ ફરક પડયો હતો. પરંતુ મારા પરિવારના સપોર્ટને લીધે હું સચવાઈ ગઈ હતી. જ્યાં સુધી આપણે અસફળતાનો સામનો નહીં કરીએ ત્યાં સુધી સફળતાનો સ્વાદ માણવાની મજા નહીં આવે.