મને સ્ટારડમની ઇચ્છા નથી : સારા અલી ખાન
સારા અલી ખાન
સારા અલી ખાન કહે છે કે તેને સ્ટારડમની ચાહત નથી. સારાએ ૨૦૧૮માં આવેલી ‘કેદારનાથ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે રણવીર સિંહ સાથે ‘સિમ્બા’માં અને કાર્તિક આર્યન સાથે ‘લવ આજ કલ 2’માં કામ કર્યું હતું. વરુણ ધવન સાથેની ‘કૂલી નંબર 1’ હાલમાં જ રિલીઝ થઈ છે. તે અક્ષયકુમાર અને ધનુષ સાથે ‘અતરંગી રે’માં પણ જોવા મળવાની છે. સ્ટારડમ વિશે સારાએ કહ્યું હતું કે ‘હું સ્ટારડમની પાછળ નથી ભાગતી. આજ સુધી હું ફૅન્સ અને સ્ટાર જેવા શબ્દોનો ઉપયોગ પણ નથી કરતી. આ બધી વસ્તુઓમાં હું નથી માનતી. મારું માનવું છે કે દર શુક્રવારે અને હવે તો ક્યારે પણ કલાકારોનું નસીબ પલટાઈ જાય છે. તમારી ફિલ્મોની રિલીઝ બાદ તમારું સ્ટારડમ સતત બદલાતું રહે છે. મારા મત મુજબ તમારી નીયત સાફ હોવી જોઈએ. તમારી મન્શા અગત્યની છે. ક્યાંક ને ક્યાંક તમારો ઇરાદો, મહેનત, લગન અને જુનૂન મહત્ત્વ રાખે છે. એ બધું સતત બદલાયા કરે છે.’
ઍક્ટિંગને પ્રોફેશન તરીકે અપનાવીને ખુશ છે સારા. એ વિશે સારાએ કહ્યું હતું કે ‘હું ખુશ છું કે મારે જે પ્રોફેશન જોઈતું હતું એમાં હું કામ કરી રહી છું. મારા કેટલાક ફ્રેન્ડ્સ છે જે નાઇન ટુ ફાઇવ જૉબ કરે છે, પરંતુ તેમને એ નથી ગમતું. તેઓ એમ કહે છે કે ઓહ ગૉડ, કામ. મારા માટે મારું કામ મારી લાઇફનો ખૂબ એક્સાઇટિંગ ભાગ છે. મારા કામને મેળવીને હું લકી છું.’