થિયેટર્સ દર્શકોની ભીડથી ભરાઈ જાય એની રાહ જોઈ રહી છું : નિત્યા મેહરા
થિયેટર્સ દર્શકોની ભીડથી ભરાઈ જાય એની રાહ જોઈ રહી છું : નિત્યા મેહરા
ફિલ્મમેકર નિત્યા મેહરાની ઇચ્છા છે કે થિયેટર્સ બહુ જલદી દર્શકોથી ભરાઈ જાય. નિત્યાની એન્થોલૉજી ‘અનપોઝ્ડ’ તાજેતરમાં જ ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે. ૨૦૧૬માં તેણે ‘બાર બાર દેખો’ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવ્યો હતો. તેનું એમ માનવું છે કે સ્ટોરી કહેવા માટે માધ્યમ કયું છે એના પર તે ધ્યાન નથી આપતી. એ વિશે નિત્યાએ કહ્યું હતું કે ‘મારું પર્સનલી એવું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ માટેના પ્રોજેક્ટ અને ફિલ્મને ડિરેક્ટ કરવામાં કોઈ અંતર નથી હોતું. આખરે આપણે છીએ તો સ્ટોરી ટેલર્સ. હું જ્યારે સેટ્સ પર જાઉં છું તો હું ડિરેક્ટરની હૅટ પહેરી લઉં છું. કામ કરવાની મારી રીત તો એકસમાન જ હોય છે. ‘અનપોઝ્ડ’ એક એન્થોલૉજીનો જ એક ભાગ છે. એ સિરીઝની સરખામણીએ એક શૉર્ટ ફિલ્મ હતી જેમાં મારે ૪૫ મિનિટનો એપિસોડ બનાવવાનો હોય કાં તો અઢી કલાકની ફીચર ફિલ્મ બનાવવાની હોય છે. જોકે આ ફૉર્મેટ થોડું અલગ હતું. મારા માટે અગત્યનું એ છે કે પેપર પર લખાયેલી સ્ટોરીને હું કઈ રીતે કહું છું. મારા ઍક્ટર્સને મારા પર ભરોસો થાય અને હું તેમની પાસેથી કેવી રીતે સારું કામ કઢાવી શકું એ પણ મારા માટે મહત્ત્વનું છે. તેમને લાગણી વ્યક્ત કરવામાં મદદ કરું. તેમ જ ડ્રામા અથવા તો કૉમેડી અથવા તો અન્ય કોઈ પ્રકારમાં કેવી રીતે બેસ્ટ રીતે કામ કઢાવી શકું એના પર પણ હું ફોકસ કરું છું. હું જ્યારે સ્ક્રીપ્ટ લખવા બેસુ છું તો એમ નથી વિચારતી કે હું એને ડિજિટલ પ્લૅટફોર્મ માટે કરી રહી છું કે પછી અન્ય કોઈ માધ્યમ માટે.’
થિયેટર્સને સો ટકા ઑક્યુપન્સી સાથે શરૂ કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવતાં બૉલીવુડનો બિઝનેસ ફરીથી ધમધમી ઊઠશે. એ વિશે નિત્યાએ કહ્યું હતું કે ‘હું જાણું છું કે થિયેટર્સ શરૂ કરવામાં આવ્યાં છે. હું એ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી છું જ્યારે થિયેટર્સ દર્શકોથી ભરાઈ જશે. આ મહામારીમાં અમારી ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવી જરૂરી છે. એવું નથી કે તમે પૂરા વિશ્વાસ સાથે ફિલ્મો રિલીઝ કરો. મહામારી હજી સુધી ખતમ નથી થઈ. ફિલ્મો બનાવવા પાછળ અઢળક પૈસો ખર્ચ કરવામાં આવે છે. આખરે આ એક ફિલ્મનો બિઝનેસ છે. હું જાણું છું કે મોટા બજેટના પ્રોડ્યુસર્સ શું કામ ચિંતિત છે.’