મારી તબિયત સારી છે, ચિંતા બદલ સૌનો આભાર : દિલીપકુમાર
વયોવૃદ્ધ અભિનયસમ્રાટ દિલીપકુમાર બીમાર હોવાની ઑનલાઇન અફવાઓ ચાલી રહી છે. એનો જવાબ ૯૧ વર્ષના પીઢ ઍક્ટરે આગવા અંદાજમાં વાળતાં કહ્યું હતું કે મારી તબિયત ખૂબ સારી છે અને મારી ચિંતા કરવા બદલ સૌનો આભાર.કેટલાય સમયથી ટ્વિટર પરથી ગાયબ જણાતાં પીઢ ઍક્ટર અચાનક ટ્વિટર પર ચમક્યા હતા અને પોતાની તબિયત વિશેની અફવાઓનો જવાબ આપ્યો હતો. દિલીપકુમાર બીમાર હોવાની ઑનલાઇન અફવાઓ દિવસભર ચાલ્યા બાદ પીઢ સુપરસ્ટારે ટ્વિટરના માધ્યમથી કહ્યું હતું કે ‘રાતભર દુનિયાભરમાંથી ફોનકૉલ્સ આવી રહ્યા છે. સૌના પ્રેમ અને પ્રાર્થનાઓ તેમ જ અલ્લાહના આર્શીવાદનું શું મૂલ્ય હોઈ શકે?’
@TheDilipત્umar ટ્વિટર અકાઉન્ટ પર છેલ્લું ટ્વીટ જૂન મહિનામાં થયું હતું, પરંતુ દિલીપસાબ હવે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર નિયમિત આવવાની યોજનામાં છે. તાજા ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ‘હું નિયમિત આ મિડિયમમાં આવવાની યોજનામાં છું. મેં @faisalMouthshutને તમારા સૌના મેસેજિસ વાંચીને હું જે કહું એ પોસ્ટ કરવાનું કહ્યું છે.’
@faisalMouthshut એ Mouthshut.comના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ફૈઝલ ફારુકીનું ટ્વિટર હૅન્ડલ છે. આ પહેલાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ સોશ્યલ મીડિયા પર ચાલતી દિલીપકુમારની તબિયત વિશેની અફવાઓનું ખંડન કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘યુસુફસાહબ-દિલીપકુમાર બીમાર હોવાની આધારવિહોણી અફવાઓ ચાલે છે. સાયરા બાનુએ હમણાં જ મને કહ્યું હતું કે દિલીપસાહબ મજામાં છે.’ તાજેતરમાં જ ઍક્ટર સલમાન ખાનની બહેન અર્પિતાના મૅરેજ-રિસેપ્શનમાં દિલીપકુમાર તેમનાં પત્ની સાયરા બાનુ સાથે હાજર રહ્યા હતા.