હું ખૂબ લાલચુ ઍક્ટર છું : શરદ કેળકર
શરદ કેળકરનું માનવું છે કે તે ખૂબ લાલચુ ઍક્ટર છે. તે અજય દેવગન અને કાજોલ સાથે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તે છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. પોતાને મળેલા આ રોલને લઈને શરદે કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો જ્યારે ઓમે મને કૉલ કરીને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે હું છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવું ત્યારે આ મારા માટે એક શૉક સમાન જ હતું. એ સમયે હું ખૂબ પ્રેશર અનુભવતો હતો, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રીયન લોકો માટે એક દેવતા સમાન છે. તેમનું પાત્ર ભજવવું એ એક જવાબદારી સમાન છે. એ પાત્ર સાથે તમને ખૂબ સાવચેત રહેવું પડે છે. તેમની સાથે સંકળાયેલાં તથ્યો, તેમનો દેખાવ, તેઓ જે રીતે ચાલતા હતા, તેમની લાઇન્સ, તેમનું વર્તન, આ બધું મારા મગજમાં માત્ર ૩૦ સેકન્ડની અંદર ફરી વળ્યું હતું.’
શરદ કેળકર ‘લક્ષ્મી બૉમ્બ’માં અક્ષયકુમાર સાથે દેખાવાનો છે. એ સાથે જ કેટલાક વેબ-શોઝમાં પણ તે બિઝી છે. પોતાના કામથી તે કેટલો સંતુષ્ટ છે? એ સવાલનો જવાબ આપતાં શરદે કહ્યું હતું કે ‘એક કલાકાર કદી પણ સંતુષ્ટ નથી હોતો. હું તો ખૂબ જ લાલચુ ઍક્ટર છું. હું હંમેશાં વધુ કામ કરવા ચાહું છું. એક વાત હું જરૂર જણાવવા માગીશ કે હું એ વાતથી ખૂબ ખુશ છું કે લોકો મને નેગેટિવ વ્યક્તિ નથી માનતા. તેઓ વિવિધ એક્સપરિમેન્ટ કરવા માગે છે અને મને અલગ અવતારમાં જોવા માગે છે. પહેલાં એવી ધારણા હતી કે ભારેભરખમ વ્યક્તિ અને ભારે અવાજવાળી વ્યક્તિને નેગેટિવ રોલ આપવા.’