સેલ્ફ-મેડ વ્યક્તિના હીરોઇઝમથી મને ખૂબ જ પ્રેરણા મળે છે: આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે સેલ્ફ-મેડ વ્યક્તિના હીરોઇઝમથી તેને ખૂબ જ પ્રેરણા મળે છે. આયુષ્માન આજે લોકો માટે એક પ્રેરણારૂપ બની ગયો છે, પરંતુ તેને પણ અન્ય વ્યક્તિ પાસેથી પ્રેરણા મળે છે. તે સોશ્યલ મેસેજ અને સોસાયટીને એક સારી જગ્યા બનાવવા માટેની ફિલ્મો કરવા માટે જાણીતો છે. તે હાલમાં ‘ચંડીગઢ કરે આશિકી’માં કામ કરી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારી ફિલ્મો મારી પર્સનાલિટી, મારી વિચારધારા અને મારું મારા દેશ પ્રત્યેના વિઝનનું એક એક્સટેન્શન છે. મને લાગે છે કે લોકો એ વાત જાણે છે કે હું મારા દેશ માટે હંમેશાં બેસ્ટ ઇચ્છું છું. આથી જ હું એમાં ક્યારેય નિષ્ફળ થવા નથી માગતો. હું અત્યારે મારી લાઇફમાં શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યો છું અને આ સમય લાંબા સમય સુધી રહે એવી મારી ઇચ્છા છે. આ એક અદ્ભુત ફીલિંગ છે, કારણ કે મને ખબર છે કે આ સ્થળે પહોંચવા માટે મેં કેટલી મહેનત કરી છે. હું જે પ્રકારના કન્ટેન્ટને પસંદ કરું છું એમાં અને મારા પર લોકોને ભરોસો છે એ મારા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિએ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે અને લોકો હંમેશાં મારી જર્ની સાથે કનેક્ટ થયા એની મને ખુશી છે. હું હંમેશાં લોકોની સ્ટોરી અને જીવનને સિનેમાના રૂપમાં સામે લાવતો રહીશ, કારણ કે હું હંમેશાં સેલ્ફ-મેડ વ્યક્તિના હીરોઇઝમ અને આદર્શથી પ્રેરિત થયો છું.’