આજે ઓપન થાય છે ગુજરાતી સસ્પેન્સ-થ્રિલર નાટક સર્જિકલ સ્ટ્રાઇક
'સર્જિકલ સ્ટ્રાઇક'
ગાયત્રી રાવલ નિર્મિત, પ્રવીણ સોલંકી લિખિત અને ફિરોઝ ભગત દિગ્દર્શિત ‘સર્જિકલ સ્ટ્રાઇક’ સસ્પેન્સ-થ્રિલર નાટક છે. નાટકના મુખ્ય કલાકારોમાં ગાયત્રી રાવલ, કલ્પેશ ચૌહાણ, એકતા ડાંકર, માનસી પંચાલ, હર્ષિલ રાવલ, હેમાંગ વ્યાસ અને અજય પારેખ છે. ફિરોઝ ભગત કહે છે, ‘આપણે ત્યાં કેટલાંક સસ્પેન્સ એવાં છે જે ક્યારેય ઉકેલાતાં નથી, જીવનમાં પણ એવો સમય આવે છે જ્યારે તમને એવું લાગે કે આ રહસ્ય ક્યારેય ઉકેલાશે નહીં અને તમે એ ઉકેલો ત્યારે જ અચાનક ખબર પડે કે વાત તો કંઈક જુદી જ છે. ‘સર્જિકલ સ્ટ્રાઇક’ની વાર્તા પણ એ પ્રકારની જ છે.’
ભૂતકાળ કોઈ વાર તમારો પીછો પકડીને રાખે છે, પણ પાછળ પડેલા આ ભૂતકાળને જો તમે તમારા પર હાવી થઈ જવા દો તો એ તમારી જિંદગી તહસનહસ કરી નાખે છે. મિતાલી પણ એવી જ ભૂલ કરી બેઠી છે. મિતાલીનાં મૅરેજ સિટીના બેસ્ટ સાઇકિયાટ્રિસ્ટ વિહાંગ સાથે થયાં છે. અહીં એક ત્રીજું પાત્ર પણ છે, અમર. અમર પેઇન્ટર અને કવિ છે. અમરનો પ્રશ્ન સાવ જ જુદો અને વિચિત્ર છે. અમર માને છે કે ગઈ કાલે તેની જે એજ હતી એના કરતાં અત્યારે તે ૧૫ વર્ષ વધારે મોટો થઈ ગયો છે. વિહાંગ અમરની સારવાર એક ડૉક્ટર તરીકે કરે છે તો મિતાલીનું ધ્યાન તે એક હસબન્ડ તરીકે, પોતાની ફરજના ભાગરૂપે રાખે છે. શું અમર અને મિતાલી વચ્ચે કોઈ સંબંધ છે? શું બન્ને એકબીજા સાથે ક્યાંય સંકળાયેલાં છે કે પછી વિહાંગને એમ જ લાગી રહ્યું છે કે તેની પીઠ પાછળ કશું ચાલી રહ્યું છે? આ અને આવા અનેક સવાલોના જવાબ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ સાથે જોડાયેલા છે. નાટકના રાઇટર પ્રવીણ સોલંકી કહે છે, ‘આ પ્રકારનાં નાટકો જ્વલ્લે જ બનતાં હોય છે. આ વાર્તા જોતાં-જોતાં ઑડિયન્સને શ્વાસ લેવાનું પણ યાદ નહીં આવે.’
ADVERTISEMENT
‘સર્જિકલ સ્ટ્રાઇક’નો શુભારંભ આજે સાંજે સાડાસાત વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે.