આજે ઓપન થાય છે ગુજરાતી નાટક ધુમ્મસ
ધુમ્મસ
મયંક મહેતા નિર્મિત માર્વેલ આર્ટ્સના નવા નાટક ‘ધુમ્મસ’ના લેખક અંશુમાલી રૂપારેલ છે જ્યારે નાટકનું દિગ્દર્શન કમલેશ મોતાનું છે. નાટકના મુખ્ય કલાકારોમાં લિનેશ ફણસે, રાજકમલ દેશપાંડે, રાજેશ સોલંકી, ઉમેશ જંગમ, જય ભટ્ટ, કેયુર ભગાડે, હાર્દિક પ્રજાપતિ, ગોરાંદે કતિરા, ક્રિષા ભાયાણી અને તોરલ ત્રિવેદી છે. નાટકની વાર્તા વિશે વાત કરતાં ડિરેક્ટર કમલેશ મોતા કહે છે, ‘જીવનમાં પથરાઈ જતી ધુમ્મસની વાત અહીં કરવામાં આવી છે. ધુમ્મસનો ધર્મ છે કે એ તમને આગળનું દૃશ્ય જોવા ન દે. ધારો કે એવું રિયલ લાઇફમાં તમારા મગજ સાથે બને તો કેવી પરિસ્થિતિ સર્જાય એ વાત ‘ધુમ્મસ’ કહે છે.’
નાટકની વાર્તા ડૉ. વિક્રમની આસપાસ ઘુમરાય છે. સાઇકિયાટ્રિસ્ટ એવા ડૉ. વિક્રમે તેની જ દીકરી કાવ્યાના મનમાં રહેલી એવી વાતો બહાર કાઢવાની છે જે ઘણાં રહસ્યો ઉઘાડાં કરવાનું કામ કરે છે. ગુનેગારોના સંકજામાંથી ભાગીને આવેલી દીકરીની તમામ વાતો અસંબદ્ધ છે અને એટલે જ એ બધી વાતોનો એક પાક્કો સ્ક્રીનપ્લે બનાવવાનું કામ ડૉ. વિક્રમ માટે અઘરું છે પણ આ કામ તેમણે કરવાનું છે અને આ કામ તેમણે નિશ્ચિત સમયમર્યાદામાં કરવાનું છે. શું કાવ્યાના મનમાં જે ચાલી રહ્યું છે અને કાવ્યા જે વાત કહેવાનો અસમર્થ પ્રયાસ કરે છે એ વાત પપ્પા-ડૉક્ટર ઉકેલી શકશે ખરા? કે પછી તેણે આવનારા ભવિષ્યમાં આકરી બની શકે એવી ઘટનાઓનો સામનો કરવો પડશે? આ અને આવા અનેક સવાલો ‘ધુમ્મસ’માં અટવાયા છે. ડિરેક્ટર કમલેશ મોતા કહે છે, ‘મન પર છવાયેલી ધુમ્મસ દૂર થશે તો જ સ્પષ્ટતા સાથે નરી આંખે જોઈ શકાય એવું દૃશ્ય ઊભું થશે. આ દૃશ્ય ઊભું કરવાનું કામ કરવાનું છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : આજે ઓપન થાય છે ગુજરાતી સસ્પેન્સ-થ્રિલર નાટક સર્જિકલ સ્ટ્રાઇક
‘ધુમ્મસ’નો શુભારંભ આવતી કાલે સાંજે પોણાઆઠ વાગ્યે ભારતીય વિદ્યા ભવન્સથી થશે.