‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ શો નિશાંત મલકાનીએ કેમ છોડ્યો?
ઝી ટીવીના શો ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’માં મેજર લીપ બાદ આ સિરિયલમાં અક્ષત જિન્દલનો લીડ રોલ ભજવતો નિશાંત મલકાની પણ નહીં જોવા મળે. જોકે લીડ ઍક્ટ્રેસ કનિકા માન અને દાદી તરીકે દલજિત સૌંધનાં પાત્રો યથાવત્ રહેશે. નિશાંત મલકાનીને ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ને કારણે ચાહના મળી છે અને હવે તે આ શોમાં નહીં જોવા મળે જેનું કારણ એ છે કે લીપ આવ્યા બાદ તેણે ૫૦ વર્ષના પિતાનું પાત્ર ભજવવાનું હતું.
નિશાંતે પોતાના આ નિર્ણય વિશે કહ્યું કે ‘શોના મેકર્સ ઘણા સમયથી મોટો ફેરફાર કરવાની લાયમાં હતા અને હવે આ લીપને કારણે તેમને પર્ફેક્ટ સ્ટોરી મળી ગઈ છે. ગુડ્ડન (કનિકા માન)નો રોલ એક દીકરી તરીકેનો પણ છે એટલે તે આ શોમાં રહે એ બરાબર છે, પણ મારા આ શોમાં હોવાનો કોઈ મતલબ નહીં રહે. હું આ ઉંમરે ૫૦ વર્ષના પિતાના કૅરૅક્ટરને ન્યાય નહીં આપી શકું એથી અમે પરસ્પર સંમતિથી આ નિર્ણય લીધો છે.’
ADVERTISEMENT
શોમાં લૉકડાઉન પત્યા પછી તરત જ ટાઇમલૅપ્સ લેવાનું પ્લાનિંગ છે
લૉકડાઉન દરમ્યાન એક પણ ટીવી-સિરિયલ આગળ વધી નહીં હોવાથી અત્યારે ટીવી ચૅનલના મૅનેજમેન્ટને સૌથી મોટો પ્રશ્ન એ નડી રહ્યો છે કે જ્યારે શૂટિંગ શરૂ થશે ત્યારે કેવી રીતે ઑડિયન્સ વચ્ચે નવેસરથી સિરિયલ એસ્ટાબ્લિશ કરવી. આ મુદ્દો જ્યારે બધાને નડે છે ત્યારે ઝી ટીવીના પૉપ્યુલર શો ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ના પ્રોડ્યુસર અને ચૅનલે એક નવો જ રસ્તો વિચારી લીધો છે અને આ રસ્તા મુજબ સિરિયલમાં એક આખી જનરેશનનો ટાઇમલૅપ લઈને મોટા ભાગના ઍક્ટરનું રિપ્લેસમેન્ટ કરીને શોને નવી જ વાત સાથે આગળ વધારવો.
લૉકડાઉન પહેલાં ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’માં આ બાબતમાં આછી સરખી ચર્ચા ચૅનલ સાથે થઈ હતી, પણ એ સમયે આ વાતને અવગણી દેવામાં આવી હતી. પણ લૉકડાઉનમાં શોને કેવી રીતે નવેસરથી એસ્ટાબ્લિશ કરવા એ મુદ્દે ચર્ચા નીકળતાં હવે જનરેશન લીપનો આઇડિયા અમલમાં મૂકવામાં આવે એવી પૂરી શક્યતા છે. પ્રોડ્યુસરે નવી જનરેશન માટે ઑલરેડી ઑડિશન પણ શરૂ કરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.