ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા મારા માટે ગેમ ચેન્જર બની હતી : શરદ કેળકર
શરદ કેળકર
શરદ કેળકરનું માનવુ છે કે તેનાં માટે ‘ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા’ એક ગેમ ચેન્જર બની ગઈ હતી. ૨૦૧૩ની ૧૫ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણના મોટા ભાઈ કાનજીભાઈની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં છત્રપતિ શિવાજી મહારાજનાં પાત્રમાં જોવા મળશે. સંજયલીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા’ વિશે જણાવતાં શરદ કેળકરે કહ્યું હતું કે ‘મારા માટે ‘ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા’ ગેમ ચેન્જર બની ગઈ હતી. મને લાગે છે કે આ ફિલ્મમાં લોકોએ મારો સ્વીકાર કર્યો હતો. ટેલિવિઝન ઍક્ટરથી માંડીને ફિલ્મોમાં કામ કરવુ એ તબક્કો થોડો અઘરો હતો. જોકે મને લોકોએ સારો રિસપોન્સ આપ્યો હતો. એ ફિલ્મ બાદ ઘણાં ખરાં ઍક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ સાથે મારા સારા સંબંધોને કારણે મેં તેમની સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને કેટલાકની સાથે કામ કરવાની મારી ઇચ્છા પણ પૂરી થઈ હતી. ફિલ્મની જર્ની ખૂબ જ સારી રહી છે. હું હવે ૨૦૨૦માં રિલીઝ થનારી ફિલ્મો પર ધ્યાન આપી રહ્યો છું. આવતું વર્ષ મારા માટે એક્સાઇટિંગ છે.’