ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને તેના દીકરાએ કેસ દાખલ કર્યો
ગંગુબાઈ કાઠિયાવાડીના દીકરા બાબુજી રવજી શાહે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેણે સાથે જ ‘ધ માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના રાઇટર હુસેન ઝૈદી અને રિપોર્ટર જેન બોર્જિસ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. શાહ મુજબ બુકમાં એક મહિલાની માનહાનિ, તેની અપમાનજનક છબીનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોર્ટે આ કેસમાં ૭ જાન્યુઆરી સુધી જવાબ આપવાનો સમય તેમને આપ્યો છે. આ બુક પરથી જ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. બાબુજી રવજી શાહનું કહેવું છે કે તેની અને તેના પરિવારની લોકોએ કનડગત શરૂ કરી છે. એ વિશે વધુ જણાવતાં બાબુજી રવજી શાહના વકીલ નરેન્દ્ર દુબેએ કહ્યું હતું કે ‘જ્યારથી ફિલ્મ બનવાની વાત ફેલાઈ છે ત્યારથી જ શાહની આસપાસ રહેતા લોકોએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું છે. તેના પગ પર ફ્રૅક્ચર આવ્યું છે. તેના સંબંધીઓને પણ એવું કહેવામાં આવે છે કે તે ‘પ્રોસ્ટિટ્યુટ ફૅમિલી’ના છે.’