બૉલીવુડમાં સૌને એ જ ચિંતા સતાવે છે કે કામ ક્યારે શરૂ થશે!
અશ્વિની ઐયર તિવારી
ફિલ્મમેકર અશ્વિની ઐયર તિવારીનું કહેવું છે કે લૉકડાઉન બાદ જ્યારે ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવશે તો ખૂબ જ કાળજી રાખવી પડશે. બૉલીવુડમાં સૌને એ જ ચિંતા સતાવે છે કે કામ ક્યારે શરૂ થશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કેવી રીતે રાખી શકાશે. એ સંદર્ભે બૉલીવુડની સેલિબ્રિટીઝ શું કહી રહી છે એના પર એક નજર નાખીએ.....
રિચા ચઢ્ઢા
ADVERTISEMENT
ખરેખર હું નથી જાણતી કે લૉકડાઉન હટ્યા બાદ કેવી સ્થિતિ રહેશે. જોકે આશા રાખું છું કે યોગ્ય માર્ગદર્શન બાદ શૂટિંગ શરૂ કરવું જોઈએ. વિશ્વાસ રાખું છું કે પ્રોડ્યુસર્સ ગીલ્ડે યોગ્ય ગાઇડલાઇન્સ મોકલી હશે કે શૂટિંગને ધીમે-ધીમે ફરીથી શરૂ કરવું જોઈએ, ખાસ કરીને ટેલિવિઝન. સાથે જ અનિશ્ચતતાનો ભય પણ દરેક સેક્ટરમાં ફેલાયેલો છે. એથી આપણા સૌના માટે આ એક ચિંતાનો વિષય છે. જોકે મારું માનવું છે કે સૌએ આશાવાદી રહેવું જોઈએ. એથી હાલમાં તો સ્થિતિ સુધરે એની જ રાહ જોવી પડશે. આપણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરવા માટે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. હૉસ્પિટલમાં બેડ્સ અને વેન્ટિલેટર્સની અછત છે. ડૉક્ટર્સ આ બીમારી સાથે લડી રહ્યા છે.
ફિલ્મમેકર અશ્વિની ઐયર તિવારી
આપણે હાલમાં અનિશ્ચતતાના સમયમાં રહીએ છીએ. જ્યારે પણ શૂટિંગ શરૂ થશે ત્યારે પ્રોડક્શનની પ્રોસેસમાં ઘણુંબધું પરિવર્તન આવી જશે. એવામાં લોકોની સલામતી ખૂબ જ અગત્યની છે. તમામ નવાં પ્રોડક્શન્સના શેડ્યુલમાં સુધારો કરવામાં આવશે, લોકેશન પર જેમ બને એમ ઓછી સંખ્યામાં કાસ્ટ અને ક્રૂને બોલાવવામાં આવશે. ટીમ મૅનેજમેન્ટ અને પ્રોસેસને પણ સ્પેશ્યલ કાળજી અને પ્લાનિંગની જરૂર પડશે. આ સરળ નથી. કોઈ જોખમ ન લેવું જોઈએ. સાથે જ દરેકે ટીમ પ્રતિ જવાબદાર રહેવું પડશે.
જેકલિન ફર્નાન્ડિસ
લૉકડાઉન બાદ મને ખાતરી છે કે ઘણુંબધું બદલાઈ જશે. જોકે એમાં પણ સમય તો લાગશે. ન માત્ર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પરંતુ દરેક માટે સ્થિતિ સામાન્ય થવામાં સમય તો લાગશે. ત્યાં સુધી ઘરે જ રહો.
પંકજ ત્રિપાઠી
સરકાર, મેડિકલ ઑથોરિટીઝ અને એક્સપર્ટ્સે ગાઇડલાઇન્સ આપી છે. એ પરિવર્તન આપણને જોવા મળશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, મેડિકલ ફ્રૅટર્નિટી, ભારતના ડૉક્ટર્સ, મહારાષ્ટ્ર સરકાર, ફિલ્મ ફેડરેશન, સિન્ટા અને અમારા યુનિયને જે પણ ગાઇડલાઇન્સ આપી છે એ તમામ ઍક્ટર્સ અને વર્કર્સ માટે એકસમાન છે. અમે ઍક્ટર્સ પણ વર્કર્સ જ છીએ.
ઉષા ઉથ્થુપ
સિંગર ઉષા ઉથ્થુપનું કહેવુ છે કે તેમને લાગે છે કે લૉકડાઉન હટાવ્યા બાદ કૉન્સર્ટમાં ૧૦થી ૫૦ હજાર દર્શકો એકઠા થશે. તાજેતરમાં જ અમેરિકામાં સિંગર કીથ અર્બને હેલ્થકૅર વર્કર્સ માટે ઇવેન્ટ યોજી હતી. એ વિશે ઉષાને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતમાં આવા શોઝ આયોજિત કરી શકાશે? એનો જવાબ આપતાં ઉષા ઉથ્થુપે કહ્યું હતું કે ‘ખરુ કહું તો મને એ વિશે જાણકારી નથી. સ્થિતિ તો સુધરશે, પરંતુ પહેલાં જેવુ નહીં રહે. મને આશા નથી કે ૧૦થી ૫૦ હજાર સ્ટ્રૉન્ગ દર્શકો કૉન્સર્ટમાં આવી શકશે. ક્યારે આ બધું ફરીથી શરૂ થશે એની માહિતી નથી.’