હું કેવી પણ ફિલ્મો કરું મારી મજાક ઉડાડાય છે : અક્ષયકુમાર
અક્ષય કુમાર
મુંબઈ : અક્ષયકુમારનું કહેવું છે કે તે કોઈ પણ પ્રકારની ફિલ્મ કરે લોએ જે બોલવું હોય એ બોલવાના જ છે. અક્ષયકુમાર પોતાને કામમાં વધુને વધુ સક્રિય રાખવા માગે છે. શું તે કદી પણ કામથી થાકે છે એ સવાલ પૂછવામાં આવતા અક્ષયકુમારે કહ્યું હતું કે હે ભગવાન કદી પણ નહીં.
એનો મતલબ કે તું ક્યારેય સ્લો નહીં થાય? આ વિશે જવાબ આપતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘કામ જ નહીં મેં આ વર્ષે હૉલીડે પર જવાનું પણ સ્લો નથી કર્યું. મારુ કામ જ મારો ઑક્સિજન છે. મારી ફૅમિલી મારી હાર્ટ બીટ છે અને મનોરંજન પૂરુ પાડવુ એ તો મારા લોહીમાં સમાયેલુ છે. હું એ પણ જાણું છું કે એક દિવસ તો મારે (ઉંમર વધ્યા બાદ) મારા કામને લઈને ધીમા થવું પડશે. જોકે એ દિવસ આવે ત્યાં સુધી તો હું શાંતિથી મારા કામ તરફ આગળ વધી રહ્યો છું.’
અક્ષયકુમાર ‘હાઉસફુલ 4’, ‘ગુડ ન્યૂઝ’, ‘સૂર્યવંશી’, ‘લક્ષ્મી બૉમ્બ’ અને ‘બચ્ચન પાન્ડે’માં જોવા મળવાનો છે. આ ફિલ્મોમાં અલગ-અલગ કૅરૅક્ટર્સમાં તે જોવા મળશે. અલગ-અલગ કૅરૅક્ટર્સ ભજવતી વખતે કેવો અનુભવ થાય છે એ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘આ ફિલ્મોને લઈને હું ખૂબ ઉત્સાહિત છું એને શબ્દોમાં હું વર્ણવી નથી શકતો. આ વૅરાયટીઝને હું ખૂબ એન્જૉય કરું છું. દરેક ઍક્ટર્સનું સપનુ હોય છે કે તે સ્ક્રીન પર વિવિધ કૅરૅક્ટર્સને ભજવે. કૉમેડી, રૉમેડી, ઍક્શન, ડ્રામા અને મસાલા જેવી તમામ ફિલ્મોમાં હું રોલ ભજવી શકું છું. સાથે જ હું જે કામ કરવા માગુ છું એ જ રોલ કરુ છું.’
તેની એક પણ ફિલ્મ ૩૦૦ કરોડનો આંકડો પાર નથી કરી શકી, પરંતુ તેમ છતાં તે બૉલીવુડનો સૌથી ધનવાન ઍક્ટર છે. આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હું એટલી ફિલ્મો તો બનાવી જ લઉં છું કે જેનાથી કેટલાક લોકોને રોજગાર મળી શકે. સાથે જ મારી ઇન્ડસ્ટ્રી માટે હું પૂરતા પૈસા એકઠા કરી શકુ અને જેમ બને એમ લોકોને મનોરંજન પૂરુ પાડી શકું. એ હું કેવી રીત કરું છું એનાથી કોઈ ફરક નથી પડતો. હું વધુમાં વધુ ફિલ્મો બનાવવા માગુ છું. કેટલાક લોકોને એમાં લાલચ દેખાય છે. જોકે હું એને કામ કરવાની ભુખ તરીકે જોઉં છું.’
૧૫મી ઑગસ્ટે રિલીઝ થયેલી ‘મિશન મંગલ’એ ૨૦૧.૮૧ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ ભારત દેશનાં મંગળ પર જવાનાં મિશન પર આધારિત છે. એક ઇવેન્ટમાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મિશન મંગલ’ દ્વારા તેને જે પણ માન સન્માન મળવ્યુ છે એ બધા પર ‘હાઉસફુલ 4’ની રિલીઝ બાદ પાણી ફરી વળશે. આ વાત શું તેણે મજાકમાં કહી હતી કે સિરીયસલી એ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હું ખરેખર આ કહી રહ્યો છું. હું કંઈપણ કરું, મારી આગામી ફિલ્મ દ્વારા મારી છેલ્લી ફિલ્મની મહેનતને ભૂલી જવામાં આવે છે. હું જ્યારે કૉમેડી ફિલ્મો કરું છું તો મને માઇન્ડલેસ કહેવામાં આવે છે. હું જ્યારે ઍક્શન ફિલ્મો કરું છું તો એકની એક ફિલ્મો કરું છું એમ કહેવામાં આવે છે. હું જ્યારે દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરું છું તો મારી મજાક ઉડાવવામાં આવે છે. વાસ્તવમાં તો હું કંઈ પણ કામ કરું લોકો પાસે એના વિશે બોલવા માટે કંઈને કંઈ હોય છે, જાણે કે હું ઇન્ડસ્ટ્રીમાં વિવિધ પ્રકારની ફિલ્મો જ ન કરતો હોઉ. સાયન્સ પર આધારિત બ્લૉક બસ્ટર ફિલ્મ આપ્યા બાદ ઇન્ટરવ્યુમાં મને એક જ સવાલ પૂછવામાં આવે છે કે શું તુ કૉમેડીઝ કરીને કંટાળી નથી જતો? મારો જવાબ છે કે હું કદી પણ કૉમેડી કરવાથી કંટાળી નથી જતો. કૉમેડી કરવી મને ગમે છે. હું ભલે ત્રણ વર્ષથી કૉમેડી કરી રહ્યો હોઉં, પરંતુ મારા માટે તો એ તો ઘણો લાંબો સમય છે.’