ઈડીએ સુશાંતના મામલે મની લૉન્ડરિંગનો કેસ ફાઇલ કર્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મની લૉન્ડરિંગનો કેસ ફાઇલ કર્યો છે. સુશાંતના ખાતામાંથી પંદર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાથી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ, 2002 હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કરેલી અપીલ બાદ ઈડીએ આ કેસ ફાઇલ કર્યો છે. ઈડીએ પટના પોલીસને કરેલા એફઆઇઆરની ડીટેલ મગાવી હતી. તેમણે સુશાંત અને રિયાની ફૅમિલી દ્વારા શરૂ કરવામાં આવેલી બે કંપનીની પણ ડીટેલ મગાવી છે. વિવિડરેજ રિયલિટિક્સ કંપનીમાં રિયા ડિરેક્ટર છે અને ફ્રન્ટ ઇન્ડિયા ફૉર વર્લ્ડ કંપનીમાં તેનો ભાઈ શૌવિક ડિરેક્ટર છે. સુશાંતના પિતાએ કરેલા એફઆઇઆરમાં તેના વિરુદ્ધ ઘણા આરોપ મૂકવામાં આવ્યા છે. જોકે હવે એમાં પૈસાની વાત આવી હોવાથી ઈડી પણ એમાં દાખલ થયું છે.
સુશાંત સિંહ રાજપૂતનો કેસ સીબીઆઇને સોંપવા માટે મહારાષ્ટ્રની બીજેપી પાર્ટીએ માગણી કરી છે. ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના કહ્યા બાદ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ કેસને કેમ સીબીઆઇને સોંપવા નથી માગતી એ સમજ નથી પડી રહી. બીજેપીના આશિષ શેલારે કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ દ્વારા અલગ-અલગ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને તેઓ બન્ને અલગ દિશામાં તપાસ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર જે-તે વ્યક્તિનાં નામ આવી રહ્યાં છે એની પણ મુંબઈ પોલીસ તપાસ નથી કરી રહી. પોલીસ કેટલાક ફિલ્મ ડિરેક્ટર્સ અને કેટલાકની સેક્રેટરીઝને સમન્સ આપીને બોલાવી રહી છે. બૉલીવુડનો જે ઍન્ગલ છે એમાં પણ યોગ્ય તપાસ નથી થઈ રહી.’