આજે ઓપન થાય છે બૈરાઓનો બાહુબલી કથા કપટમાંથી સર્જાતી કૉમેડીની
આજે ઓપન થાય છે બૈરાઓનો બાહુબલી કથા કપટમાંથી સર્જાતી કૉમેડીની
નાટકના મુખ્ય કલાકારોમાં સંજય ગોરડિયા સાથે જગેશ મુકાતી, પૂજા દમણિયા, યોહાના વાચ્છાની, પ્રતીક પટેલ, ભાષ્કર ભોજક અને વિમલ પટેલ છે. સંજય ગોરડિયા કહે છે, ‘બે કલાકના આ નાટકમાં તમને સવાબે કલાકનો લાફ્ટર ડોઝ મળવાનો છે, પણ એની સાથોસાથ એક એવી શીખ પણ મળશે જે તમને જિંદગીભર કામ લાગવાની છે.’
નાટકની વાર્તા બુલબુલ અને તેના બે ભાઈબંધોની આસપાસ ઘૂમરાય છે. બુલબુલ આણિ આ આખી મંડળી કરુ-કંપની તરીકે વધારે પૉપ્યુલર છે અને એમ છતાં એ લોકોની વાતો એ પ્રકારની છે કે સામેની વ્યક્તિ તેમની વાતનો ભરોસો કરી બેસે. આ ત્રણેય મિત્રો એક આધેડ વયના અંકલના ઘરમાં પેઇંગગેસ્ટ તરીકે રહે છે. અંકલને આગળ-પાછળ કોઈ નથી એટલે તેની આ કરોડો રૂપિયાની પ્રૉપર્ટીનો કોઈ વારસ નથી. જોકે આ જ વાતને બુલબુલ પોતાના દિમાગમાં ફિટ બેસાડે છે અને એવો ફુલપ્રૂફ પ્લાન બનાવે છે જેને લીધે આ કરોડોની સંપિત્ત તેને મળે. હડપ કરવાની માનસિકતા ક્યારેય કોઈની થઈ શકે ખરી? અહીં પણ એવું જ થાય છે. ફુલપ્રૂફ લાગતા આ પ્લાનમાં એવી અને એટલી તિરાડ પડે છે કે એને લીધે અઢળક કૉમેડી સર્જાય છે. નાટકના ડિરેક્ટર વિપુલ મહેતા કહે છે, ‘આ દરેક પરિસ્થિતિ એવી હાલત સર્જે છે કે ઑડિયન્સ હસી-હસીને બેવડ વળી જાય.’
ADVERTISEMENT
નાટકની આટલી વાર્તામાં ક્યાંય બૈરાંઓનો ઉલ્લેખ આવતો નથી એટલે કેવી રીતે બૈરાંઓના બાહુબલી બનવાનું બુલબુલના પક્ષમાં આવે છે એ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે. નાટકનો શુભારંભ આજે સાંજે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.