પીઠમાં દર્દ બાદ દિલીપકુમારની તબિયત હવે સારી છે : સાયરા બાનુ
દિલીપ કુમાર સાથે સાયરા બાનુ
દિલીપ કુમારને પીઠમાં થયેલા દર્દ બાદ તેમની તબિયત હવે સારી છે. આ વાતની માહિતી તેમનાં વાઇફ સાયરા બાનુએ આપી છે. દિલીપ કુમાર અને સાયરા બાનુએ ૧૯૬૬માં લગ્ન કર્યાં હતાં. દિલીપ કુમારના સ્વાસ્થ્યની માહિતી એક ઑડિયો મેસેજ દ્વારા સાયરા બાનુએ ટ્વિટર પર આપી છે. આ ઑડિયો મેસેજમાં સાયરા બાનુ કહી રહ્યાં છે કે ‘દરેકને હેલો. હું તમને બધાને એ જણાવતાં ખુશી અનુભવી રહી છું કે દિલીપ સા’બ પહેલાં કરતાં ઘણા તંદુરસ્ત છે. તેમને પીઠમાં અસહ્ય દર્દ ઊપડ્યું હતું. અમે લીલાવતી હૉસ્પિટલમાં જઈને તપાસ કરાવી હતી અને હવે પાછા ફર્યાં છીએ. ભગવાનની કૃપા અને તમારા સૌની પ્રાર્થનાથી બધુ સારું છે. અમને તમારો પ્રેમ અને સ્નેહ મળ્યો. એને લઈને તમારા આભારી છીએ. ભગવાનની પણ હું ખૂબ આભારી છું. ભગવાન ખૂબ દયાળુ છે.’
દિલીપ કુમાર સાથેના કેટલાક ફોટોની સ્લાઇડ બનાવીને ટ્વિટર પર શૅર કરીને સાયરા બાનુએ ટ્વીટ કર્યું હતું કે ‘દિલીપ સા’બ સ્વસ્થ છે. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવો.’