એક્સ-હસબન્ડ સાહિલ સંઘા સાથે થયેલા છૂટાછેડા વિશે દિયા મિર્ઝાએ કહ્યું...
દિયા મિર્ઝા
સાહિલ સંઘા સાથેના લગ્નજીવનનો અંત આવ્યા બાદ દિયા મિર્ઝાનું કહેવું છે કે જીવનમાં જે પણ મોટા બદલાવ આવે છે એ પડકારજનક, પીડાદાયક અને કપરા હોય છે. જોકે કામની વ્યસ્તતા એ બધું ભુલાવવામાં મદદ કરે છે. તેમનાં લગ્ન ૨૦૧૪ની ૧૮ ઑક્ટોબરે થયાં હતાં. આ બન્ને એકબીજાને છેલ્લાં ૧૧ વર્ષથી જાણે છે. જોકે પરસ્પર સમજૂતીથી તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. જીવનમાં આવતાં પરિવર્તન પર પોતાના વિચાર વ્યક્ત કરતાં દિયાએ કહ્યું હતું કે ‘લાઇફમાં આવતા કોઈ પણ મોટા બદલાવ ચૅલેન્જિંગ, દર્દનાક અને અઘરા હોય છે. જોકે કામની વ્યસ્તતા એ બધું ભુલવાડી દે છે. આ વસ્તુ
તમારી પ્રગતિ માટે અને ખુશીની શોધ કરવા માટે તમને જીવંત રાખવામાં મદદ કરે છે. હું નસીબદાર છું કે જે પ્રકારનું કામ હું કરું છુ એનાથી મારા દરદનો સામનો કરવામાં મને મદદ મળે છે. હું એમાંથી બહાર નીકળવા માગું છું, મારો અવાજ શોધું છું અને સાથે જ મારા અને અન્યોના સશક્તિકરણનો પ્રયાસ કરું છું.’
દિયા મિર્ઝાએ ગઈ કાલે પોતાના બર્થ-ડે નિમિત્તે પોતાના પ્રોડક્શન હાઉસની કરી જાહેરાત
ગઈ કાલે પોતાના બર્થ-ડે નિમિત્તે દિયા મિર્ઝાએ પોતાના પ્રોડક્શન હાઉસ વન ઇન્ડિયા સ્ટોરીઝની જાહેરાત કરી છે. એના માધ્યમથી દિયા સારી કન્ટેન્ટવાળી સ્ટોરીઝ લોકોને દેખાડવા માગે છે. આ વિશે જણાવતાં દિયા મિર્ઝાએ કહ્યું હતું કે ‘અમે અલગ-અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને એકસાથે લાવવાના છીએ. સાથે જ મહિલાપ્રધાન સ્ટોરીઝને અમે વધુ મહત્ત્વ આપવાના છીએ. હું એકની તાકાતમાં ભરોસો કરું છું. આપણે બધા પણ એકતા અને માનવતાના તાંતણે બંધાયા છીએ. વન ઇન્ડિયા સ્ટોરીઝ આ વિચારધારા સાથે બનાવવામાં આવ્યું છે. અમે એવી સ્ટોરીઝ લોકોને દેખાડવા માગીએ છીએ જે તમને બે ઘડી વિચારતા કરે, એવી સ્ટોરીઝ જે આપણા પરસ્પર સંબંધોની અને આપણા પ્લેનેટની યાદ અપાવે, એવી સ્ટોરીઝ જેને જોઈને એના પર આપણે ધ્યાન દોરીએ. આ મારી ખૂબ જ સારી શરૂઆત છે. હું હંમેશાંથી જ કંઈક આવું કરવા માગતી હતી. આશા રાખું છું કે અમે જે પણ સ્ટોરીઝ બનાવીએ એમાં અમારું વિઝન દેખાડવામાં અમે સક્ષમ બનીએ.’