મલ્હાર ઠાકરની 'વેનીલા આઈસ્ક્રીમ'નું શૂટિંગ બહુ જલ્દી થશે શરૂ
ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'ની જાહેરાત કરી તે સમયની તસવીર
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકર માટે 2020 નું વર્ષ સૌથી વ્યસ્ત હતું. કારણકે આ વર્ષે અભિનેતાની પાંચ ફિલ્મો રિલીઝ થવાની હતી. તેમાંની એક ફિલ્મ એટલે પ્રિત સિંગ લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'. જેનું શૂટિંગ ચોમાસામાં શરૂ થવાનું હતું. પરંતુ કોરોના વાયરસ (COVID-19) અને લૉકડાઉનને લીધે હવે શૂટિંગ લંબાઈ ગયું છે.
'વેનીલા આઈસ્ક્રીમ' ફિલ્મને સિલ્વર લાઇન ફિલ્મસનાં અમોલ મુરલીધર ઘુળે અને સંતોષ વિઠ્ઠલ બાનખેલે બ્લેક હોર્સ પ્રોડક્શનની સાથે મળીને પ્રોડયુસ કરી રહ્યાં છે. ફિલ્મની અનાઉન્સમેન્ટ ફેબ્રુઆરી મહિનાના અંતમા કરવામાં આવી હતી. મલ્હારની સાથે મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી દીક્ષા જોષી છે. તાજેતરમાં જ ફિલ્મના પ્રોડક્શન હાઉસે અનાઉન્સમેન્ટ કરી છે કે, બહુ જલ્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. આ સાથે જ મુખ્ય કલાકારો મલ્હાર અને દીક્ષાએ ઘરના અરીસા, દીવાલ અને રસોડાની વાત કહી છે. જે વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ફિલ્મ જિંદગીના તડકા અને છાંયડાને રજુ કરતી છે. જેમા મલ્હાર વરૂણનું પાત્ર ભજવશે અને દીક્ષા કોમલનું.
દરમ્યાન એક મિડિયા રીપોર્ટ અનુસાર મલ્હાર ઠાકરની બે ફિલ્મ 'વિકિડા નો વરઘોડો' અને 'સારાભાઈ'નું શૂટિંગ પતી ગયું છે. આ ફિલ્મોનું મોટાભાગનું પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ પુર્ણ થઈ ગયું છે. ફક્ત થોડુંક જ કામ બાકી છે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચાલુ થતાની સાથે જ પતી જશે. પરંતુ અભિનેતાની ઈચ્છા નથી કે આ ફિલ્મો સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય. મલ્હાર ઈચ્છે કે, જ્યારે બધી પરિસ્થિતિ સામાન્ય થાય અને લોકો થિયેટર સુધી આવતા થાય ત્યારે જ આ ફિલ્મો થિયેટરમાં રિલીઝ કરવી જોઈએ. OTT પ્લેટફોર્મ પ્રેક્ષકો સુધી પહોચવાનો ઉત્તમ માર્ગ છે. પરંતુ તેમા થિયેટરમાં ફિલ્મ જોવાની જેવી મજા છે તેવી નથી. તેમજ અમે આટલી રાહ જોઈ છે તો થોડીક વધારે રાહ જોવામાં કશો વાંધો નથી. ફિલ્મની ટીમે સર્વસંમતિથી થિયેટરમાં જ ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે અને વર્ષના અંતે તે શક્ય થઈ શકે છે, તેમ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.