મલ્હાર ઠાકર હવે સંભળાવશે 'આજ ના સમાચાર', જન્મદિવસે નવી ફિલ્મની જાહેરાત
મલ્હાર ઠાકર સાથેની આગામી ફિલ્મ 'આજ ના સમાચાર’ની જાહેરાત કરી દિગ્દર્શક વિરલ શાહે
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનો આજે 30મો જન્મદિવસ છે. ત્યારે દિગ્દર્શક વિરલ શાહે એક જાહેરાત કરીને મલ્હાર ઠાકરના ફૅન્સને ખુશ કરી દીધા છે. દિગ્દર્શકે સોશ્યલ મીડિયા પર મલ્હારને જન્મદિવસની શુભેચ્છા આપવાની સાથે જ નવી ફિલ્મની જાહેરાત પણ કરી છે.
'મિડનાઈટ્સ વીથ મેનકા' અને 'ગોળકેરી' બાદ દિગ્દર્શક વિરલ શાહ અને અભિનેતા મલ્હાર ઠાકર ત્રીજી વાર સાથે કામ કરશે. ફિલ્મનું નામ છે, 'આજ ના સમાચાર’. સોશ્યલ મીડિયા પર ફિલ્મની જાહેરાત કરતા વિરલ શાહે લખ્યું હતું કે, મલ્હાર ઠાકર હવે તમે 30 વર્ષના થઈ રહ્યાં છો ત્યારે તમને મારી પાસેથી રૉમેન્ટિક ફિલ્મો ઓછી અને વિષય આધારિત ફિલ્મોની ઑફર વધુ મળશે.
ADVERTISEMENT
ફિલ્મ વિશે ઉત્સાહ વ્યક્ત કરતા દિગ્દર્શક વિરલ શાહે કહ્યું હતું કે, 'મલ્હાર ઠાકર સાથેની અગાઉની બન્ને ફિલ્મ 'મિડનાઈટ્સ વીથ મેનકા' અને 'ગોળકેરી'નું અમે પ્લાનિંગ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બનાવવાની ક્યારેય કોઈ યોજના નહોતી. એક દિવસ હું અને મલ્હાર ચૅટ કરી રહ્યાં હતા કે આજકાલ કેવી રીતે ન્યૂઝ ચેનલો બાકી બધા કરતા વધુ ટીઆરપી મેળવી રહી છે અને ત્યારે જ આ ફિલ્મનો વિચાર આવ્યો. થોડી વાર અમે બન્ને મૌન રહ્યાં અને પછી એકસાથે બોલી પડયા, ત્રીજી ફિલ્મ? મલ્હાર સાથેની મારી પહેલી ફિલ્મ નકલી બાયૉપિક હતી. બીજી રૉમેન્ટિક કૉમેડી-ડ્રામા હતી. જ્યારે આ ત્રીજી ફિલ્મ તદ્દન જુદી છે. મને લાગે છે આ પ્રકારની ફિલ્મ ગુજરાતી સિનેમામાં આજ સુધી ક્યારેય નથી બની.'
આ ફિલ્મ વિરલ શાહ અને ઉત્તમ લેખક અતુલ ઉનડકટે લખી છે. ફિલ્મ હાલમાં પ્રારંભિક તબક્કે છે અને લેખન હજુ ચાલુ છે. લૉકડાઉન ખુલ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.