કોરોનાને પગલે હરિયાણામાં જાગરુકતા ફેલાવવા માટે CMએ પસંદ કરી માનુષીને
માનુષી છિલ્લર
હરિયાણાના ચીફ મિનિસ્ટર મનોહર લાલ ખટ્ટર દ્વારા લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે માનુષી છિલ્લરને પસંદ કરવામાં આવી છે. અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા માનુષી છિલ્લર બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. કોરોના વાઇરસને કારણે ઇન્ડિયા લૉકડાઉન છે ત્યારે હરિયાણાના લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે માનુષીને પસંદ કરવામાં આવી છે. આ વિશે માનુષીએ કહ્યું હતું કે ‘ઇન્ડિયા હાલમાં હેલ્થ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે અને આ દેશના નાગરિક તરીકે મારી ડ્યુટી છે કે કોરોના વાઇરસને લઈને હું મારાથી શક્ય હોય એટલી લોકોમાં જાગરુકતા ફેલાવું. હું હરિયાણાની છું અને એ મારી જવાબાદરી છે કે આ રાજ્યનાં મારાં ભાઈ-બહેનોમાં હું જાગરુકતા ફેલાવું. આપણે તરત જ સેલ્ફ-આઇસોલેશનમાં જવાની જરૂર છે અને સાથે જ સોશ્યલ ડિસ્ટન્સ પણ રાખવાની જરૂર છે. ઇન્ડિયાને લૉકડાઉન કરવામાં આવ્યું છે એનો આપણે રિસ્પેક્ટ કરવો જોઈએ જેથી વાઇરસનો નાશ થાય.’
લોકોને ઘરમાં રહેવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે માનુષીએ એક વિડયો બનાવ્યો છે. આ વિડિયોમાં માનુષીએ કહ્યું હતું કે ‘આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાઇરસને કારણે હેલ્થ ક્રાઇસિસ આવી ગઈ છે. આપણે બધાએ સાથે મળીને એની સામે લડવાનું અને એને અટકાવવાનું છે. આપણે બધાએ એક થઈને આપણી જવાબદારી નિભાવવાની છે. હું ઘરમાં બંધ છું. હું મારી જાતને અને મારી ફૅમિલીને પ્રોટેક્ટ કરવા માટે સોશ્યલ ડિસ્ટન્સ રાખી રહી છું. તમે પણ ઘરમાં રહી સેલ્ફ-આઇસોલેશનમાં રહો. ઇન્ડિયામાં લૉકડાઉન છે અને એનો આપણે રિસ્પેક્ટ કરવો જોઈએ. કોરોના વાઇરસને વધતો અટકાવી લોકોના જીવ બચાવવા માટે આ એક જ ઉપાય છે. તમારી અને ફક્ત તમારી પાસે આ દેશને બચાવવાનો પાવર છે. જવાબદાર બનો. એવા નાગરિક બનો જેના પર ઇન્ડિયા ભરોસો કરી શકે.’