મે મહિના પહેલાં એક પણ નવો એપિસોડ જોવા નહીં મળે
પ્રતીકાત્મક તસવીર
ટીવી અને ફિલ્મોનાં શૂટિંગ ૩૧ માર્ચ સુધી અટકાવી દેવામાં આવ્યું છે પણ આ મુદત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ વીકના લૉકડાઉનની જાહેરાત પછી આપોઆપ ૧૪ એપ્રિલ સુધી લંબાવાઈ ગઈ છે, પણ હવે વાત એવી છે કે ધારો કે લૉકડાઉન ૧૪ એપ્રિલથી હટાવી દેવામાં આવે તો પણ શૂટિંગની પરમિશન આપવામાં આવશે નહીં અને એનું કારણ એ છે કે શૂટિંગને ક્રાઉડેડ ઝોનમાં ગણવામાં આવે છે. લૉકડાઉન હટાવ્યા પછી પણ ક્રાઉડેડ ઝોનવાળી જગ્યા સૌથી છેલ્લે ખુલ્લી મૂકવામાં આવે એવો સ્ટ્રૅટેજિકલ પ્લાન બન્યો છે. ક્રાઉડેડ ઝોનમાં મૉલ, મલ્ટિપ્લેક્સ, ઑડિટોરિયમ અને મંદિર જેવાં સ્થળોને ગણવામાં આવે છે જ્યાં ૧૦૦થી વધારે લોકો એકત્રિત થતા હોય કે એવી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય. મહારાષ્ટ્ર સરકાર જ નહીં, હવે કેન્દ્ર સરકાર પણ નથી ઇચ્છતી કે કોરોનાને કન્ટ્રોલ કર્યા પછી એવી કોઈ ઘટના ઘટે જેમાં એકઝાટકે તમામ બંધનો તૂટી જાય. સેન્ટ્રલ ગવર્નમેન્ટની બ્રૉડકાસ્ટ મિનિસ્ટ્રીએ ઑલરેડી આ બાબતની જાણકારી ટીવી-ચૅનલને કરી દીધી છે અને ટીવી-ચૅનલ પણ હવે એ તૈયારીમાં લાગી ગઈ છે કે શૂટિંગ થઈને નવા એપિસોડ ન આવવાના હોય તો કેવી રીતે ટીવીને દોડતું રાખવું.
ઝી ટીવીએ ઓટીટી પ્લૅટફૉર્મ માટે બનાવેલો શો ચૅનલ પર દેખાડવાનું ઑલરેડી શરૂ કરી દીધું છે તો એક ચૅનલ પોતાના શોનું ટાઇમ-ટેબલ ચેન્જ કરીને ફિલ્મો ઑનઍર કરવાનું શેડ્યુલ બનાવી રહી છે, જ્યારે એક ચૅનલે પોતાના શેડ્યુલમાં હૉલીવુડ અને ટેલીવુડની ડબ ફિલ્મો ઑનઍર કરવાનું પ્લાનિંગ બનાવ્યું છે.