અલ્લુ અર્જુને કર્યું સવા કરોડ રૂપિયાનું દાન
અલ્લુ અર્જુન
સાઉથના અનેક સ્ટાર જેવા કે ચિરંજીવી, પ્રભાસ, રામ ચરણ, પવન કલ્યાણ અને મહેશબાબુ બાદ હવે અલ્લુ અર્જુને પણ કોરોના વાઇરસ સામે લડવા માટે સવા કરોડ રૂપિયાનું દાન કર્યું છે. કોરોનાના વધતા જતા પ્રકોપને જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે જેથી આ બીમારીને જડમૂળથી ઉખેડી ફેંકવામાં મદદ થઈ શકે. એવામાં બૉલીવુડની સાથે જ સાઉથના અનેક સ્ટાર્સ સરકારને મદદ કરવા માટે આગળ આવ્યા છે. અલ્લુ અર્જુને ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે લોકોને ઘરની અંદર રહેવાની વિનંતી કરી રહ્યો છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલ્લુ અર્જુને કૅપ્શન આપી હતી કે ‘કોરોના વાઇરસને કારણે લોકોનાં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયાં છે. સંકટની આ ઘડીમાં માનવતા દેખાડતાં હું એક કરોડ પચીસ લાખ રૂપિયા આન્ધ્ર પ્રદેશ, તેલંગણ અને કેરળને આપવા માગું છું. આશા રાખું કે આપણે બધા મળીને આ મહામારી સામે જંગ લડી શકીશું અને એનો ખાતમો બોલાવવામાં સફળ થઈશું.’