આજથી કલર્સનો પૌરાણિક શો રામ સિયા કે લવ કુશ બંધ
રામ સિયા કે લવ કુશ
ઑગસ્ટ ૨૦૧૯માં શરૂ થયેલો કલર્સ ટીવીનો મેગા માઇથોલૉજિકલ પ્રોજેક્ટ ‘રામ સિયા કે લવ કુશ’ આજથી બંધ થઈ રહ્યો છે. કેટલાક કાયદાકીય ઇશ્યુ અને વ્યુઅરશિપના મામલે ડચકાં ખાતા આ શોને આખરે બંધ કરવામાં આવ્યો છે. આ શોની વાર્તામાં નાવીન્ય હોવાથી તે એક પ્રૉમિસિંગ શો ગણાતો હતો, પણ એ ક્યારેય એટલી મોટી સંખ્યામાં દર્શકો ન મેળવી શક્યો. આ ઉપરાંત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ શો વિવાદમાં ફસાયો હતો. આ શોને લીધે પંજાબના વાલ્મીકિ સમાજની લાગણી દુભાતાં એક મહિના માટે એને રાજ્યમાં બૅન પણ કરવામાં આવ્યો હતો.
આ શોની જગ્યાએ હવે ‘બૅરિસ્ટર બાબુ’ નામનો શો જોવા મળશે. બાળવિવાહ તેમ જ અન્ય સામાજિક મુદ્દા પર આધારિત આ શોમાં ઔરા ભટનાગર અને પ્રવિષ્ટ મિશ્રા લીડ રોલમાં છે. કલર્સ ચૅનલ પર ‘રામ સિયા કે લવ કુશ’ ઉપરાંત ‘બેપનાહ પ્યાર’ પણ આ મહિનાના અંતમાં બંધ થવાનો છે. એની જગ્યાએ એકતા કપૂરનો શો ‘પવિત્ર ભાગ્ય’ ચાલુ થશે.