સુશાંત સિંહ રાજપુતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેનો થશે ટેન્સિલ ટેસ્ટ
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસમાં દરરોક કોઈ નવો વળાંક આવે છે. અભિનેતાએ ખરેખર આત્મહત્યા કરી હોય તેવું પરિવારજનો અને ફૅન્સ માનવા જ તૈયાર નથી એટલે આ આત્મહત્યા ક્યાંક હત્યા તો નથી તે તેની ખાતરી કરવા માટે દરેક પસાની તપાસ કરી રહ્યાં છે. આ કેસમાં અત્યાર સુધી જે રિપોર્ટ આવ્યા છે તે પ્રમાણે, અભિનેતાએ આત્મહત્યા જ કરી છે. હત્યા થઈ હોવાના કોઈ જ પુરાવા નથી. પરંતુ આ બાબતની વધુ ખાતરી થઈ જાય તે માટે પોલીસે અભિનેતાએ ફાંસી ખાવા માટે વાપરેલું કપડુ ટેન્સિલ ટેસ્ટ માટે મોકલાવ્યું છે. આ ટેસ્ટથી ખબર પડશે કે તે કપડું સુશાંતના શરીરનું વજન ઉઠાવી શકે તેટલુ મજબુત હતું કે નહીં. આ ટેસ્ટ બાદ શંકા દુર થઈ જશે કે સુશાંતની હત્યા તો નથી થઈને.
પોલીસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અભિનેતા સુશાંત સિંહ રાજપુતના ઘરેથી કોઈપણ સુસાઇડ નોટ મળી નથી. સુશાંતે 14 જૂને તેના ઘરની સીલિંગમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ફાંસી માટે તેણે કોટનનું નાઈટગાઉન વાપર્યું હતું. સુશાંતના મૃત્યુ બાદ પોલીસ તપાસ દરમ્યાન સ્પોટથી વાયરલ થયેલ વીડિયોઝમાં તે નાઈટગાઉન લીલા રંગનું દેખાયું હતું.
ADVERTISEMENT
મીડિયાના અહેવાલો પ્રમાણે, પોલીસે આ નાઈટગાઉન કેમિકલ અને ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કલિનામાં મોકલ્યું છે. રિપોર્ટ સોમવારે આવવાની શક્યતા છે. તે સિવાય, મૃત્યુનું યોગ્ય કારણ જાણવા માટે ફોરેન્સિક એક્સપર્ટ સુશાંતના ગળાની આસપાસ ફાંસી લગાવાથી બનેલ નિશાનોની પણ તપાસ કરશે.
ટેન્સિલ સ્ટ્રેન્થ અથવા તણાવની ક્ષમતા એ મહત્તમ ભાર હોય છે, જે કોઈપણ પદાર્થ ખેંચવા પર તૂટ્યા વગર સહન કરી શકે છે. સુશાંતનું વજન લગભગ 80 કિલો હતું. તપાસમાં આટલું વજન ઉઠાવાની ક્ષમતા તે કપડામાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જ્યારે, સુશાંતના મોબાઈલ ફૉનનો ફોરેન્સિક રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.