જેલ 2 બનવી જોઈએ: નીલ નીતિન મુકેશ
નીલ નીતિન મુકેશ
નીલ નીતિન મુકેશની ઇચ્છા છે કે ‘જેલ 2’ બનવી જોઈએ. ફિલ્મની રિલીઝને ૧૧ વર્ષ થઈ ગયાં છે. મધુર ભંડારકરે ફિલ્મને ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં નીલની સાથે મનોજ બાજપાઈ, મુગ્ધા ગોડસે, નવની પરિહાર, આર્ય બબ્બર તથા રાહુલ સિંહ પણ જોવા મળ્યાં હતાં. ફિલ્મમાં નીલને જૉબ કરનાર એક સફળ વ્યક્તિ દેખાડવામાં આવ્યો હતો, જેને ખોટી રીતે ફસાવીને જેલમાં ધકેલવામાં આવે છે. ફિલ્મની ક્લીપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીલે કૅપ્શન આપી હતી કે ‘૧૧ વર્ષ પહેલાં ‘જેલ’ રિલીઝ થઈ હતી. આ એક એવી ફિલ્મ છે જે હંમેશાં મારા દિલની નજીક રહેશે. આ મારા કરીઅરની એવી ફિલ્મ હતી કે જેમાં મેં મૅથડ ઍક્ટિંગ કરી હતી. મધુર ભંડારકર સરે મને એક ઍક્ટર તરીકે ઊડવા માટે પાંખો આપી હતી. ઑન-સ્ક્રીન એક પાવરફુલ કૅરૅક્ટર ભજવવા માટે તેમણે મને માર્ગદર્શન આપ્યું હતું. મુગ્ધા ગોડસે મારો સ્ટ્રૉન્ગ સપોર્ટ હતી, જેણે મને પરાગ દીક્ષિતની નિર્દોષતા અને કમજોર પાસાની બારીકાઈથી માહિતી આપી હતી. મનોજ બાજપાઈ સર પણ મને વિસ્તારપૂર્વક સમજાવતા હતા. તેઓ એકમાત્ર એવા કલાકાર હતા જે પોતાની ક્ષમતા પ્રમાણે પોતાના સહકલાકારને સમજતા અને તેમને માહિતી આપતા હતા. આર્ય બબ્બર તો આજીવન માટે મારો ભાઈ બની ગયો છે. તે એક સારો કલાકાર છે. પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહ, આ તક આપવા માટે આભાર. આપણે ‘જેલ 2’ બનાવવી જોઈએ. છેલ્લે હું ફિલ્મની તમામ કાસ્ટ અને ક્રૂને ગળે ભેટું છું. એ દિવસની દરેક યાદો મારા દિલમાં સદાને માટે વસી ગઈ છે. આ સુંદર મોમેન્ટ્સ માટે થૅન્ક યુ.’