બૉલીવુડ સેલિબ્રિટીઝ અને અનુરાગની એક્સ-વાઇવ્ઝે પણ કર્યો તેને સપોર્ટ
કલ્કી કોચલીન
પાયલ ઘોષે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપો લગાવ્યા બાદ અનુરાગ કશ્યપના સપોર્ટમાં બૉલીવુડ સેલિબ્રિટીઝ ઉપરાંત તેની એક્સ-વાઇવ્ઝ આરતી બજાજ અને કલ્કિ કોચલીન પણ આવી છે. અનુરાગને લઈને સોશ્યલ મીડિયામાં લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો જોઈ લઈએ તેની એક્સ-વાઇવ્ઝ અને બૉલીવુડે શું કહ્યું છે.
ડિયર અનુરાગ, આ સોશ્યલ મીડિયા સર્કસને તારા પર હાવી ન થવા દેતો. તેં તારી સ્ક્રિપ્ટ્સમાં મહિલાઓની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો છે. તેં પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં પણ મહિલાઓને અધિકાર અપાવવા માટે લડાઈ લડી છે. આ બધાની હું સાક્ષી છું. પ્રોફેશનલ અને પર્સનલ સ્પેસમાં તેં મને સમાન નજરે જોઈ છે. આપણા ડિવૉર્સ બાદ પણ તું મારી સાથે અડીખમ ઊભો રહ્યો છે. વર્ક સ્પેસમાં જ્યારે પણ અસલામતી અનુભવતી તો તેં મને સપોર્ટ કર્યો છે. આ ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે કે જેમાં લોકો એકબીજાને અપશબ્દો બોલે છે અને ખોટા આરોપો મૂકી રહ્યા છે. આ વસ્તુને કારણે પરિવાર, મિત્રો અને દેશ પર પણ માઠી અસર પડે છે. જોકે આ ખરાબ વાતાવરણ સિવાય એક મર્યાદાનું સ્થાન હોય છે. આપણી આસપાસના લોકો પર ધ્યાન આપવાનું સ્થાન, દયાળુ બનવાનું સ્થાન. હું જાણું છું કે તું આ બધાથી પરિચિત છે. તારી ગરિમાને જાળવી રાખ, મજબૂત બન, એ જ કામ કર જે તું કરતો આવ્યો છે. તારી એક્સ-વાઇફ તરફથી તને પ્રેમ.
- કલ્કિ કોચલીન
ADVERTISEMENT
હું છું પહેલી પત્ની. અનુરાગ કશ્યપ તું રૉક સ્ટાર છે. મહિલા સશક્તિકરણ અને તેમના માટે સલામત કાર્યસ્થળ નિર્માણ કરવાનું કામ તું સતત કરતો રહેજે. સૌપ્રથમ એ મને આપણી દીકરી માટે દેખાય છે. હાલમાં કોઈ પ્રામાણિકતા નથી બચી. દુનિયામાં હારેલા અને બુદ્ધિ વગરના લોકો કોઈના પણ માટે અપશબ્દો બોલે છે. જો લોકો એ એનર્જીનો ઉપયોગ કોઈને નફરત કરવાને બદલે રચનાત્મક કાર્યોમાં કરે તો દુનિયા એક રહેવા માટેનું સર્વશ્રેષ્ઠ સ્થાન બની જશે. અત્યાર સુધીનો સૌથી હલકી કક્ષાનો આ સ્ટન્ટ છે. પહેલાં તો મને ખૂબ ગુસ્સો આવ્યો. ત્યાર બાદ તો હું ખૂબ હસી, કેમ કે આ બનાવટી લાગી રહ્યું છે. દુઃખ એ વાતનું છે કે તારે આ બધામાંથી પસાર થવું પડી રહ્યું છે. એનાથી તેમનું લેવલ જણાઈ આવે છે. તારી જાતને ઊંચાઈ પર રાખ અને તારો અવાજ બુલંદ કરતો રહેજે. તને ખૂબ પ્રેમ.
- આરતી બજાજ
અનુરાગ પર મૂકવામાં આવેલા આરોપોને રદિયો આપ્યો તેની વકીલે
અનુરાગ કશ્યપ પર પાયલ ઘોષે મૂકેલા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપોને તેની વકીલ પ્રિયંકા ખીમાણીએ ફગાવી દીધા છે. પ્રિયંકા ખીમાણીએ એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે અનુરાગ પર મૂકવામાં આવેલા આરોપોથી તે ખૂબ દુઃખી છે. આ તમામ આરોપો ખોટા છે, તેની છબીને ખરડાવવાનો પ્રયાસ અને અપ્રામાણિક છે. એ પ્રેસ નોટને ટ્વિટર પર શૅર કરીને અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘મારા વતી વકીલ પ્રિયંકા ખીમાણીનું આ સ્ટેટમેન્ટ અહીં શૅર કરું છું. થૅન્ક યુ.’