શ્રીદેવીની ચાલબાઝ કેમ નથી જોઈ શકતી જાહ્ન્વી કપૂર?
શ્રીદેવી અને જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરનું કહેવું છે કે તે તેની મમ્મી શ્રીદેવીની ‘ચાલબાઝ’ જોઈ નથી શકતી. રાજકુમાર રાવ સાથેની તેની ‘રૂહી’ ૧૧ માર્ચે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મના પોતાના અનુભવને લઈને જાહ્નવીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. મને ખરેખર એમ લાગે છે કે એ ફિલ્મથી હું વધુ નિખરી ગઈ છું અને એક ઍક્ટર તરીકે સ્વતંત્ર બની છું. મને એવું લાગે છે કે એના અનુભવથી હું વધુ વિકસિત થઈશ અને એમાં થોડો ઉમેરો પણ થશે. આશા છે કે એમાં હું સફળ થાઉં.’
‘રૂહી’ માટે તેણે તેની મમ્મીની ‘ચાલબાઝ’માંથી રેફરન્સ લીધો હોવાની વાત ચાલી હતી જેને તેણે ફગાવી દીધી હતી. એ વિશે જાહ્નવીએ કહ્યું હતું કે ‘અફઝાના કૅરૅક્ટર માટે મેં કોઈ રેફરન્સ પૉઇન્ટ નહોતો લીધો. હું એ વાતનું ખાસ ધ્યાન રાખતી હતી કે હું કોઈનું અનુકરણ ન કરું. મને નથી લાગતું કે વિશ્વમાં કોઈ એવું હોય જે મારી મમ્મીએ કરેલા કામની તોલે આવી શકે. પ્રામાણિકપણે કહું તો ‘ચાલબાઝ’ જોવામાં મને ખૂબ તકલીફ પડતી હતી, કારણ કે એમાં મમ્મી સાથેનું જે વર્તન હતું એ ખરાબ હતું. બાળપણમાં તો હું જ્યારે પણ આ ફિલ્મ જોવાનો પ્રયાસ કરતી તો મને આઘાત પહોંચતો હતો.’