બિચ્છૂ કા ખેલમાં બાલિકા વધૂ ફેમ સત્યજિત શર્મા
સત્યજીત શર્મા
અલ્ટ બાલાજીની આગામી સિરીઝ ‘બિચ્છૂ કા ખેલ’ એક ક્રાઇમ-થ્રિલર છે જેમાં દિવ્યેન્દુ શર્મા (મિર્ઝાપુર) લીડ રોલમાં છે. શોની વાર્તા મુજબ અખિલ (દિવ્યેન્દુ) પોતાના પિતાના મર્ડરની સજાથી બચવા માટે કાયદા સાથે છેડછાડ કરે છે, પણ તેની યોજનામાં અણધાર્યા ટ્વિસ્ટ આવે છે. ‘બિચ્છૂ કા ખેલ’માં અંશુલ ચૌહાણ, મુકુલ ચઢ્ઢા, ઝિશાન કાદરી, ‘બાલિકા વધૂ’ ફેમ સત્યજિત શર્મા પણ મહત્ત્વના રોલમાં છે.
‘ચમેલી’, ‘પા’, ‘કમિને’, ‘ઉરી’ જેવી ફિલ્મો ઉપરાંત ‘કિતની મોહબ્બત હૈ’, ‘એક દૂજે કે વાસ્તે’, ‘યે હૈ ચાહતેં’ જેવી ટીવી-સિરિયલોમાં કામ કરી ચૂકેલા સત્યજિત શર્મા તાજેતરમાં આ શો સાથે જોડાયા છે. તેઓ ‘બિચ્છૂ કા ખેલ’માં અનિલ ચૌબે નામના વકીલની ભૂમિકામાં છે જે માફિયા અને ટોચના પોલીસ ઑફિસરો સાથે કનેક્શન ધરાવે છે. સત્યજિત શર્મા કહે છે, હું ‘બિચ્છૂ કા ખેલ’માં એવા વકીલના પાત્રમાં છું જે બાળપણથી જ જુગાડ કરવામાં માહેર હોય છે. આ શોની સ્ટોરીલાઇન પણ અદ્ભુત છે અને એની ટૅલન્ટેડ ટીમ સાથે કામ કરવા હું ઉત્સુક છું.’