લૉકડાઉનનું પાલન ન કરનારા લોકોથી નારાજ આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના એવા લોકોથી ખૂબ નારાજ છે જેઓ લૉકડાઉન હોવા છતાં નિયમોને નેવે મુકીને બહાર નીકળે છે. કોરોના વાઇરસને કારણે દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન છે જેથી આ વાઇરસને વધુ ફેલાતો અટકાવી શકાય. આમ છતાં કેટલાક લોકો બહાર નીકળતા હોવાથી પોલીસે બળપ્રયોગ કરવો પડે છે. લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આખા દેશમાં લૉકડાઉન હોવા છતાં કેટલાક લોકો બહાર નીકળે છે. એ વિડિયો જોઈને ખરેખર ખૂબ દુઃખ થાય છે. ભારતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. એક સજાગ નાગરિક હોવાથી આપણે જવાબદાર બનવું જોઈએ. સાથે જ એકબીજાની કાળજી કરતાં આ કોરોના વાઇરસનો ખાતમો બોલાવવો જોઈએ. આવા વર્તનથી અનેક લોકોના જીવ જોખમમાં મુકાશે. હું તમામ ભારતીયોને અપીલ કરું છું કે ઘરની અંદર રહો અને તમારી તથા તમારા પ્રિયજનોની કાળજી લો. આપણું વર્તન ઉતાવળિયું ન હોવું જોઈએ, કારણ કે એનાથી આપણે આપણા અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકીએ છીએ. હું દરેક જણને એકત્રિત ન થવાની અપીલ કરું છું. દરેક લોકોએ ભારત અને ભારતીયોની સુરક્ષાની ખાતરી રાખવી જોઈએ.’