લૉયર સીડ જયસિંહની પ્રેરણા ક્યાંથી લીધી અર્જુન રામપાલે?
અર્જુન રામપાલની ૧ જાન્યુઆરીએ રિલીઝ થનારી લીગલ-થ્રિલર ફિલ્મ ‘નેઇલ પૉલિશ’માં માનવ કૌલ, આનંદ તિવારી, રજિત કપૂર પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મની વાર્તા લોકોમાં પ્રતિષ્ઠિત એવા વીરસિંહ (માનવ કૌલ)ની આસપાસ ફરે છે. વીરસિંહ પર બે મજૂર બાળકોની હત્યાનો આરોપ છે અને અર્જુન રામપાલ તેના કેસ લડતા લૉયર સીડ જયસિંહના પાત્રમાં જોવા મળશે. અર્જુને આ રોલ માટે પોતાના વકીલ માસા પાસેથી પ્રેરણા લીધી છે, જેઓ ભારતના મોટા-મોટા કેસ લડ્યા છે.
અર્જુન કહે છે, ‘મેં બાળપણથી જ બહુબધા લૉયરને નજીકથી જોયા છે, કેમ કે મારા માસા વકીલાતનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે. સીડ જયસિંહના રોલ માટે મેં તેમની પાસેથી ઘણી પ્રેરણા લીધી છે. આ ઉપરાંત હું આજના પણ ઘણા લૉયર્સને ફૉલો કરું છું જેમને હું મળ્યો હોઉં. તેઓ કઈ રીતે પોતાના કેસ માટે તૈયારી કરે છે અને કેસ લડે છે એનું નિરીક્ષણ મને આ રોલ માટે કામ લાગ્યું છે.’
ADVERTISEMENT
અર્જુને એ પણ ઉમેર્યું કે જયસિંહનું પ્રોફેશન એક લૉયરનું છે, પણ એ પહેલાં તે માણસ છે એ વાત પર અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અર્જુન રામપાલનું ડિજિટલ ડેબ્યુ ઝીફાઇવની જ સિરીઝ ‘ધ ફાઇનલ કૉલ’થી થયું છે.