કંગના તું એકમાત્ર મણિકર્ણિકા છે, ચીન પર ચડાઈ કરી દે: અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપે કંગના પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે તું જ એકમાત્ર મણિકર્ણિકા છે તો ચીન પર ચડાઈ કરી દે. વાત શરૂઆત ટ્વિટર પર થઈ જ્યારે કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું એક ક્ષત્રાણી છું. માથું કપાવી શકું છું, પરંતુ માથું નમાવી નથી શકતી. રાષ્ટ્રના સન્માનમાં હું હંમેશાં અવાજ બુલંદ કરતી રહીશ. માન, સન્માન અને સ્વાભિમાન સાથે હું જીવી છું અને ગર્વથી રાષ્ટ્રવાદી બનીને જીવતી રહીશ. સિદ્ધાંત સાથે કદી પણ સમાધાન નથી કર્યું અને કદી પણ નહીં કરું. જય હિન્દ.’
તેના આ ટ્વીટનો જવાબ આપી કટાક્ષ કરતાં ટ્વિટર પર અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘હા બહેન, તું જ તો એકમાત્ર મણિકર્ણિકા છે. ચાર-પાંચ લોકોને લઈને ચીન પર ચડી જા. જો કેટલા અંદર સુધી આપણા દેશની અંદર ઘૂસી ગયા છે. તેમને પણ દેખાડી દે કે જ્યાં સુધી તું છે ત્યાં સુધી કોઈ પણ આ દેશનો વાળ વાંકો નહીં કરી શકે. તારા ઘરથી LAC તો માત્ર એક દિવસનો જ પ્રવાસ છે. જા શેરની. જય હિન્દ.’
ADVERTISEMENT
અનુરાગ પર પલટવાર કરતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઠીક છે, હું બૉર્ડર પર જાઉં છું. તમે ઑલિમ્પિક્સમાં ચાલ્યા જાઓ. દેશને ગોલ્ડ મેડલ્સ જોઈએ છે. હા હા, આ કંઈ બી ગ્રેડ ફિલ્મ નથી કે અહીં કલાકાર કંઈ પણ બની જાય છે. તમે તો મેટાફર્સને સિરિયસલી લેવા લાગ્યા. આટલા મંદબુદ્ધિ ક્યારથી થઈ ગયા? જ્યારે આપણી દોસ્તી હતી ત્યારે તો ઘણા ચતુર હતા.’
મેટાફરને લઈને કંગના પર પ્રહાર કરતાં અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘તારી જિંદગી જ હવે મેટાફર બની ગઈ છે બહેન. તારી દરેક કહેલી વાત મેટાફર લાગે છે. દરેક આરોપ મેટાફર છે. તેં ટ્વિટર પર એટલા તો મેટાફર માર્યા છે કે જનતા, હવે બેરોજગારી જનરેટરને તારો ડાયલૉગ રાઇટર કહી રહ્યા છે. જોકે મારાથી સારી રીતે તને કોણ જાણે છે કે તું કેટલું ઇમ્પ્રોવાઇઝ કરે છે.’