કોરોનાને લઈને ફિલ્મ બનાવશે અનુભવ સિંહા, સુધીર મિશ્રા, હંસલ અને કેતન
અનુભવ સિંહા
અનુભવ સિંહા, સુધીર મિશ્રા, હંસલ મેહતા, સુભાષ કપૂર અને કેતન મહેતા સાથે મળીને કોરોનાના વિષય પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. તેઓ બનારસ મીડિયાવર્ક્સના નેજા હેઠળ આ ફિલ્મ બનાવશે. કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉને સૌની લાઇફને બ્રેક લગાવી દીધી છે. એ વિશે અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘અલગ પ્રકારના ફિલ્મમેકર્સ સાથે મળીને ફિલ્મ બનાવશે એનાથી સારી વાત શું હોઈ શકે? સુધીરના પિતાનું આ લૉકડાઉનમાં અવસાન થયું હતું. આપણે એ દરમ્યાન ઇરફાનને પણ ગુમાવ્યો. તેના અંતિમસંસ્કારમાં પણ જઈ શક્યા નહીં. તિગ્માંશુ ધુલિયાને પોલીસ સાથે લડીને જવું પડ્યું હતું અને કહેવું પડ્યું હતું કે ‘ઇરફાન મારો ભાઈ છે અને હું જઈશ.’ આ બધી ઘટનાઓએ દુઃખ પહોંચાડ્યું છે. મને લાગે છે કે આ બધું રેકૉર્ડ થવું જોઈએ. મેં મારા ફ્રેન્ડ્સ સાથે વાત કરી હતી અને તેઓ પણ મંજૂર છે. આવી રીતે આઇડિયા પર કામ કરવાનું શરૂ કરીશું. એક સ્ટોરી સુભાષ પાસેથી, એક સ્ટોરી હંસલ પાસેથી, એક સ્ટોરી સુધીર પાસેથી અને એક કદાચ કેતન પાસેથી ઉમેરવામાં આવશે. આ એ ફિલ્મમેકર્સ છે કે જેમની ‘બૉલીવુડ’એ અવગણના કરી છે.’
તાપસી પન્નુનું કહેવુ છે કે તે અનુભવ સિંહાના રાઇટિંગની ફૅન છે અને અનુરાગ કશ્યપ જે પણ ફિલ્મ બનાવે છે એને સ્ક્રીન પર જોઈને વિશ્વાસ આવે છે. અનુરાગ સાથે તાપસીએ ‘મનમર્ઝિયાં’, ‘ગેમ ઓવર’ અને ‘સાંડ કી આંખ’માં કામ કર્યું હતું. તો અનુભવ સિંહા સાથે તેણે ‘મુલ્ક’ અને ‘થપ્પડ’માં કામ કર્યું હતું. તેમના વિશે તાપસીએ કહ્યું હતું કે ‘અનુરાગ અને અનુભવ સર મને એક ઍક્ટર કરતાં પણ વધુ સારી રીતે ઓળખે છે. આ જ કારણ છે કે અમે એક કરતાં વધુ પ્રોજેક્ટ્સ સાથે કર્યા છે. હું અનુભવ સરના રાઇટિંગની ફૅન છું અને અનુરાગનું કામ સ્ક્રીન પર વિશ્વાસ અપાવે એવું હોય છે. તે જાણે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કામ કેવી રીતે કરી શકાય છે. બન્નેમાં આ એકસરખી ક્વૉલિટી છે. એથી તેમની સાથે હું કમ્ફર્ટેબલ અનુભવું છું. હું તેમની સાથે કોઈ પણ વિષય પર ચર્ચા કરી શકું છું. એથી ભવિષ્યમાં તેમની સાથે જો હું વધુ પ્રોજેક્ટ્સમાં દેખાઉં તો આશ્ચર્યમાં ન મુકાતા. મને પૂરી ખાતરી છે કે અનુભવ સર અને હું ફરીથી સાથે કામ કરીશું. હાલમાં તો તેઓ આયુષ્માન ખુરાના સાથે કામમાં વ્યસ્ત છે.’