અનિલ કપૂરને અને માધુરીને આ ફિલ્મ માટે સુભાષ ઘઈએ ના પાડી હતી
માધુરી દીક્ષિત અને અનિલ કપૂર
અનિલ કપૂરને સુપરહિટ ફિલ્મ ‘ખલનાયક’માં લીડ પાત્ર ભજવવું હતું અને માધુરી દીક્ષિત નેને ‘પરદેશ’ ફિલ્મમાં ગંગાનો રોલ કરવા ઇચ્છતી હતી. જોકે પાત્રના હિસાબે ઍક્ટરની પસંદગી કરવાનો આગ્રહ રાખતા સુભાષ ઘઈએ આ બન્ને સ્ટારને પ્રેમથી ના પાડી દીધી હતી. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા ચિત્રભારતી નૅશનલ શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં સુભાષ ઘઈનો માસ્ટર ક્લાસ યોજાયો હતો જેમાં તેમણે સ્ટુડન્ટ્સને ફિલ્મ કરીઅરના પાઠ ભણાવ્યા હતા.
ADVERTISEMENT
સુભાષ ઘઈ
સુભાષ ઘઈએ સ્ટુડન્ટ્સને પાત્રોની પસંદગીનાં ધોરણોની સમજ આપતાં કહ્યું હતું કે ‘એ સમયે ન્યુકમર્સ માધુરી દીક્ષિત, મીનાક્ષી શેષાદ્રી સહિતના કેટલાય કલાકારો તેમ જ જૅકી શ્રોફ, અનિલ કપૂર, સંજય દત્ત, અનુપમ ખેર જેવા ઍક્ટર્સ પણ હતા. જોકે મને સ્ટાર સિસ્ટમ પસંદ નહોતી. પાત્રના હિસાબે જે સૂટ કરે તેને જ હું સાઇન કરતો હતો. લેખકે જ ઍક્ટર બનાવ્યા છે. ખલનાયક કહો કે લખન કહો એ બધા લેખકે બનાવ્યા છે. અનિલ કપૂરને ‘ખલનાયક’નો રોલ કરવો હતો. મેં કહ્યું કે તને આ સૂટ નહીં કરે. માધુરીને ‘પરદેશ’ની ગંગાનો રોલ કરવાની ઇચ્છા હતી. મેં કહ્યું, તું બહુ મોટી સ્ટાર છે, મારે નવો ફેસ જોઈએ છે. આ એક મેકરની શક્તિ હોય છે. આ પાત્ર છે, આ પાત્રના હિસાબે થશે. પોતાના પ્રોફેશન પ્રત્યે સત્યતા અને કોઈના દબાણમાં નહીં પણ પોતાની અચીવમેન્ટથી સાચા મનથી, બીજાનો આદર કરીને મેં કામ કર્યું છે.’
સુભાષ ઘઈએ ભારપૂર્વક કહ્યું હતું કે ‘આવનારી પેઢી લેખક બને. તેઓ તેમના દિલની વાત, દેશ, સમાજ અને સંસ્કૃતિને સ્ક્રીન પર લઈને આવે. બધી ચીજોનો સારાંશ કહાની છે. ફિલ્મોમાં ૧૦–૧૨ સ્ટાર્સ હોવા છતાં પણ એ ફિલ્મ ફ્લૉપ થાય છે કેમ કે એમાં કહાની નથી હોતી. આજે સારી સ્ટોરીની ખોટ છે અને એવા લેખકોની કમી છે. આપણે હવે નવા લેખકો પેદા કરવાના છે.’
પોતાની ફિલ્મ કરીઅરના અનુભવોમાંથી સ્ટુડન્ટ્સને બોધપાઠ આપતાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે ‘કરીઅરમાં તમારી નિષ્ફળતા જરૂરી છે. એના વગર સફળતા નથી મળતી. હું ઘણી વાર નિષ્ફળ રહ્યો છું. આ ચડેલી સીડી છે. એની પાછળનું સત્ય બીજું છે. તમે હતાશ ન થાઓ. તમારામાં જિજ્ઞાસા છે, એને મરવા ન દો. કરીઅરનો સૌથી મોટો પહેલો પાઠ એ છે કે તમારામાં જિજ્ઞાસા હોવી જોઈએ. વિશ્વાસ જ્યારે અંધવિશ્વાસ બને છે તો તમને અટકાવી દે છે. તમે આગળ નથી વધી શકતા. કરીઅરનું સૌથી મોટું બ્લૉકેજ આ હોય છે.’