શોલે ફિલ્મમાંથી કવ્વાલી પડતી ન મુકાઈ હોત તો આનંદ બક્ષી આજે ગાયક હોત
૧૯૭૫માં રિલીઝ થયેલી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘શોલે’ માટે આનંદ બક્ષીએ ગાયક તરીકે અવાજ આપ્યો હતો. આ કૉલમમાં આપણે ‘શોલે’ ફિલ્મ માટે રેકૉર્ડ થયેલી કવ્વાલીની વાત કરી હતી. ‘ચાંદ સા ચેહરા જબ તક પહલુ મેં ન હો જીને કા મઝા નહીં આતા’ કવ્વાલી ‘શોલે’ ફિલ્મમાં ઉપયોગમાં ન લેવાઈ. ‘શોલે’ ફિલ્મની લંબાઈ ઑલરેડી ત્રણ કલાક પચીસ મિનિટની થઈ ગઈ હતી એટલે પોણાઅગિયાર મિનિટની એ કવ્વાલી ‘શોલે’ ફિલ્મમાં ઉપયોગમાં ન લેવાઈ.
એ કવ્વાલી ‘શોલે’માં ઉપયોગમાં લેવાઈ હોત તો ‘શોલે’ની સફળતા સાથે એ કવ્વાલી પણ સુપરહિટ થઈ ગઈ હોત અને આનંદ બક્ષીની ગાયક તરીકેની કરીઅરને જબરદસ્ત વેગ મળી ગયો હોત, પરંતુ એ કવ્વાલી ‘શોલે’માં ઉપયોગમાં ન લેવાઈ એટલે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું. ‘શોલે’ની એ કવ્વાલીમાં કિશોરકુમાર, મન્ના ડે અને ભૂપિન્દર સિંઘ સાથે આનંદ બક્ષીએ પણ અવાજ આપ્યો હતો.
એ પછી ૧૯૭૬માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની સુપરહિટ ફિલ્મ ‘ચરસ’માં લતા મંગેશકર અને મોહમ્મદ રફી સાથે ગીત ગાવાની તક આનંદ બક્ષીને મળી હતી. હવે એ ગીત ધ્યાનથી સાંભળજો. એમાં તમને આનંદ બક્ષીનો અવાજ સાંભળવા મળશે. એ હિટ ફિલ્મનું સુપરહિટ સૉન્ગ હતું : ‘આજા તેરી યાદ આયી, ઓ બાલમ હરજાઈ કે આ જા તેરી યાદ આયી...’
ADVERTISEMENT
એ પછી ૧૯૭૬માં જ રાજેશ ખન્ના અને નીતુ સિંઘની ‘મહાચોર’ ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું સંગીત આર. ડી. બર્મને આપ્યું હતું. એ ફિલ્મમાં આનંદ બક્ષીએ આશા ભોસલે સાથે એક ગીત ગાયું હતું : ‘સુન બહેના તૂ બાત મેરી...’
તો ૧૯૭૬ના જ વર્ષમાં સચિનની ‘બાલિકા વધૂ’ ફિલ્મ માટે આર. ડી. બર્મનના સંગીતમાં આનંદ બક્ષીએ ગીત ગાયું હતું : ‘જગત મુસાફિર કહાં લગા હૈ આના જાના...’
આમ આનંદ બક્ષીએ છૂટાછવાયાં થોડાં ગીતો ગાયાં હતાં, પરંતુ તેઓ ગાયક તરીકે સફળતા ન મેળવી શક્યા.
ઊંચા ગજાના ગીતકાર આનંદ બક્ષીની ચાર દાયકા જેટલી કરીઅર દરમ્યાન ૪૦ વખત તેમનું નામ ફિલ્મફેર અવૉર્ડ માટે નૉમિનેટ થયું અને એમાંથી ચાર વખત તેમને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન બૉલીવુડના લગભગ તમામ ટોચના ઍક્ટર્સ, મ્યુઝિક-ડિરેક્ટર્સ, સિંગર્સ સાથે કામ કર્યું હતું.
૧૯૩૦ની ૨૧ જુલાઈએ પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલા આનંદ બક્ષીના વડવાઓ કશ્મીરના વતની હતા. આનંદ બક્ષી માત્ર પાંચ વર્ષના હતા ત્યારે તેમનાં માતા સુમિત્રાનું મૃત્યુ થયું હતું. આનંદ બક્ષીનું કુટુંબ ભાગલા વખતે ૧૯૪૭ની બીજી ઑક્ટોબરે દિલ્હી આવી ગયું હતું. એ વખતે તેમની ઉંમર માત્ર ૧૭ વર્ષ હતી. તેમનું કુટુંબ ડાકોટા પ્લેન દ્વારા દિલ્હી આવ્યું હતું અને પછી તેઓ ત્યાંથી પુણે માઇગ્રેટ થયા હતા. ત્યાર પછી થોડો સમય મિરુત રહ્યા અને છેવટે ફરી દિલ્હીમાં તેમનું કુટુંબ સેટલ થયું હતું.
૧૯૮૩માં દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે તેમના જીવનની આવી ઘણી બધી રસપ્રદ વાતો શૅર કરી હતી.