કોરોનાથી મૃત્યુ થાય એવી ઇચ્છા વ્યક્ત કરનાર ટ્રોલર્સને અમિતાભે કહ્યું...
અમિતાભ બચ્ચન હાલમાં નાણાવટી હૉસ્પિટલમાં કોરોના વાઇરસની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. આ દરમ્યાન સોશ્યલ મીડિયા પર તેમનું કોરોના વાઇરસથી મૃત્યુ થાય એવું કેટલાક લોકો ઇચ્છી રહ્યા છે. જોકે આ ટ્રોલર્સને તેમણે આડે હાથે લીધા છે. તેમણે ઓપન લેટર લખીને આ ટ્રોલર્સની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે આ વિશે બ્લૉગ પર લખ્યું હતું કે ‘લોકો કહી રહ્યા છે કે હું કોરોના વાઇરસથી મરી જાઉં તો સારું. હું આ બેનામી વ્યક્તિને જણાવી દઉં કે તેણે તેના પિતાનું નામ નથી લખ્યું, કારણ કે તેનો ઉછેર કોણે કર્યો એ જ તેને નથી ખબર. બે વસ્તુ છે જે બની શકે છે, એક તો હું જીવીશ અને બીજું, મારું મૃત્યુ થશે. જો મારું મૃત્યુ થશે તો પછી તને તારો બકવાસ લખવા નહીં મળે. સેલિબ્રિટીના નામ લઈને તું જે ગંદકી ફેલાવે છે એ તને ફરી નહીં મળે. દુઃખની વાત છે. તેં જે લખ્યું એ નોટિસ કરવામાં આવ્યું, કારણ કે તે બિગ બી વિરુદ્ધ લખ્યું છે. મારું મૃત્યુ થયું તો એ પણ નોટિસ કરવામાં નહીં આવે. ભગવાનની કૃપાથી હું બચી ગયો તો તારા પર તોફાન આવશે. મારા તરફથી જ નહીં, પરંતુ મારા ૯૦ મિલ્યનથી પણ વધુ ફૉલોઅર્સ તરફથી પણ. મેં તેમને નથી કહ્યું હજી, પરંતુ હું જીવિત રહીશ તો તેમને કહીશ. હું તને જણાવી દઉં કે તેઓ દુનિયામાં બધે જ ફેલાયેલા છે. પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ સુધી તેઓ છે. તેઓ ફક્ત આ પેજના એક્સટેન્ડેડ ફૅમિલી નથી. એક આંખના પલકારામાં તેઓ તબાહી મચાવનાર ફૅમિલી પણ બની શકે છે. મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે ઠોક દો સાલે કો.’