ઇન્સ્ટાગ્રામ પર ૫૦ મિલ્યન ફૉલોઅર્સ થતાં આલિયાએ કહ્યું...
આલિયા ભટ્ટ (તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)
આલિયા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલ્યન ફૉલોઅર્સ થતાં તેણે સૌનો આભાર માન્યો છે. સાથે જ જણાવ્યું કે આપણે સૌકોઈ સંબંધોથી જોડાયેલા છીએ. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે ‘આજે પ્રશંસાનો દિવસ છે. થૅન્ક યુ મારા પરિવારને. આજે તમે લોકોએ મને 50 મિલ્યન પ્રેમ આપ્યો છે. હું તમને સૌને ખૂબ પ્રેમ કરું છું. હું તમારી સાથે કેટલીક બાબતો શૅર કરવા માગું છું જેનો મેં છેલ્લા થોડા મહિનામાં અનુભવ કર્યો હતો. સોશ્યલ મીડિયા આપણને જોડે છે, આપણને ઉત્સાહિત કરે છે અને સાથે જ મનોરંજન પણ પૂરું પાડે છે. પરંતુ આપણે એ નથી. મારા જ્યારે 5, 15 અથવા તો 50 હજાર ફૉલોઅર્સ હતા ત્યારે પણ હું આટલી જ ખુશ હતી અને તમારા સૌની એટલી જ આભારી હતી જેટલી આજે છું. મારું માનવું છે કે આપણું જીવન એ સંબંધોથી વણાયેલું છે જે આપણે લોકો સાથે બનાવીએ છીએ. માત્ર એક બટન દબાવીને તેને એ અનુભવ કરાવવાનો અધિકાર નથી કે તે કોઈનાથી ઓછો કે વધુ છે. એથી હું આજે કહું છું કે આજે પ્રશંસાનો દિવસ છે. હું સૌને કહેવા માગું છું કે તમે તમારા માટે થોડો સમય કાઢો અને પોતાની જાતની જ પ્રશંસા કરો. તમારા દિમાગ, તમારા શરીર, તમારા હાર્ટ અને તમારા આત્માની પ્રશંસા કરો; કારણ કે કોઈ પણ લાઇક્સ, ડિસલાઇક્સ, ફૉલો, અનફૉલો, ટ્રોલ કે પોલ તમારી જાતથી તમને જુદી ન કરી શકે.’