ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પૉઝિટીવ
આરાધ્યા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન (ફાઈલ તસવીર)
કોરોના વાયરસ (COVID-19) એક પછી એક બચ્ચન પરિવારના સભ્યોને તેની ચપેટમાં લઈ રહ્યો છે. ગઈકાલે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા હતા અને અત્યારે બન્ને જણાં નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ત્યારબાદ હવે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનના પણ કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા એટલે કે ગઈકાલે બન્નેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
કમિશ્નર વિશ્વાસ મોતેએ આપેલી માહિતિ મુજબ, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આજે બપોરે 2.30 વાગે આવ્યો હતો. જેમા તેઓ કોરોના સંક્રમિત હોવાની જાણ થઈ હતી. બીજી બાજુ જયા બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા અને તેના બાળકો નવ્યા નવેલી નંદા અને અગસ્તય નંદાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ADVERTISEMENT
શનિવારે સાંજે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમા તેઓ કોરોના નેગેટિવ છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે ફરી આરાધ્યા બચ્ચન અને અન્ય પરિવારના સભણ્યોનો સ્વેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમા ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોના પૉઝિટિવ હોવાની ખબર પડી છે. જ્યારે જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, નવ્યા નવેલી નંદા અને અગસ્તય નંદા કોરોના નેગેટિવ છે.
મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન રાજેશ ટોપેએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રીમતી ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા અભિષેક બચ્ચન પણ કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે શ્રીમતી જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમે આશા રાખીએ છીએ કે બચ્ચન પરિવાર જલ્દી સાજો થઈ જાય.
તમને જણાવી દઈએ કે, નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અત્યારે આઈસોલેશન વૉર્ડમાં છે અને તેમની તબિયત સ્થિર છે.