૯ વર્ષ બાદ પૂજા ગોર ફરી બનશે પ્રતિજ્ઞા
૯ વર્ષ બાદ પૂજા ગોર ફરી બનશે પ્રતિજ્ઞા
૨૦૦૯માં સ્ટાર પ્લસ પર આવેલા શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’એ દર્શકોનાં દિલમાં એવી જગ્યા બનાવી છે કે આજે પણ એ ટીવી-શોને યાદ કરવામાં આવે છે. ત્રણ વર્ષ ચાલેલો આ શો જે-તે સમયે ટીઆરપીના મામલે ટૉપ પર હતો અને છેલ્લા કેટલાય સમયથી ‘પ્રતિજ્ઞા’ની બીજી સીઝન વિશે ચર્ચા ચાલતી હતી. દર્શકોની માગણીને લીધે આખરે આ શો ફરી ટીવી પર જોવા મળશે. આ વખતે એનું ટેલિકાસ્ટ સ્ટાર ભારત પર થવાનું છે. શોમાં પૂજા ગોર ‘પ્રતિજ્ઞા’ના લીડ રોલમાં છે જેને બળજબરીથી કૃષ્ણા સિંહ (અરહાન બહલ) નામના ગુંડા સાથે પરણવું પડે છે. જોકે એ પછી પ્રતિજ્ઞા કૃષ્ણાના પ્રેમમાં પડે છે.
રૂઢિવાદી સમાજની વિરોધી પ્રતિજ્ઞા સાસરે ગયા બાદ પણ વિરોધ કરવાનું ચાલુ રાખે છે. બીજી સીઝનમાં પૂજા ગોર અને અરહાન બહલની જોડી યથાવત્ રહેશે, તો સજ્જન સિંહના રોલમાં પહેલા ભાગની જેમ જ અનુપમ શ્યામ જોવા મળી શકે છે. ‘લગાન’, ‘બેન્ડિટ ક્વીન’ ફેમ અનુપમ શ્યામે પણ ‘પ્રતિજ્ઞા’ માટે ઘણી પ્રશંસા મેળવી છે. ‘પ્રતિજ્ઞા 2’નું શૂટિંગ આ અઠવાડિયે શરૂ થવાનું છે. લીડ ઍક્ટ્રેસ પૂજા ગોર પણ ૯ વર્ષ બાદ આ શોથી ટીવી પર કમબૅક કરવાની છે.