'ઈશ્કબાઝ' ફૅમ અભિનેત્રી અદિતી ગુપ્તા કોરોના પૉઝિટિવ, અઠવાડિયાથી ક્વૉરન્ટીન
અદિતી ગુપ્તા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ દરેક કોરોનાની ચપેટમાં આવતા જાય છે. તાજેતરમાં જ ખબર પડી છે કે, 'ઈશ્કબાઝ' ફૅમ અભિનેત્રી અદિતી ગુપ્તાને કોરોના પૉઝિટિવ આવ્યો છે અને તે છેલ્લા એક અઠવાડિયાથી હૉમ ક્વૉરન્ટીનમાં છે.
ટેલી ચક્કરને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રી અદિતી ગુપ્તાએ કહ્યું હતું કે, હું અસિમ્પ્ટોમેટિક એટલે કે કોઈ જાતના લક્ષણો ન હોય તેવી દર્દી છું. છેલ્લાં એક અઠવાડિયાથી રૂમમાં જ ક્વૉરન્ટીનમાં જ છું. જ્યારે મારી ગંધ પારખવાની ક્ષમતા જતી રહી ત્યારે જ મેં પોતાને ક્વૉરન્ટીન કરી લીધી હતી અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. મારો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. હું તમામ મેડિકલ ગાઈડલાઈન્સનું પાલન કરું છું અને મારી ગંધ પારખવાની ક્ષમતા પણ થોડી પરત આવી છે. હું ભારપૂર્વક કહું છું કે, આનાથી ડરવાની જરૂર નથી. જો તમે યોગ્ય મેડિકલ સારવાર તથા હકારાત્મક વલણ અપનાવો તો જરૂરથી સાજા થઈ જશો.
ADVERTISEMENT
અદિતીએ વધુમાં જણાવ્યું હતું કે, મને મારા પતિ, પરિવાર અને મિત્રોનો પૂરતો સહયોગ મળે છે. તેઓ સતત મારું ધ્યાન રાખી રહ્યાં છે. હું આગામી 10 દિવસ ક્વૉરન્ટીનમાં રહીશ. યોગ્ય ભોજન લઉં છું અને સાવધાની પણ રાખુ છું. કોરોના છે એવી ખબર પડી તો હું શરૂઆતમાં ઘણી જ તણાવમાં આવી ગઈ હતી પરંતુ પછી ધીમે ધીમે તે ઠીક થઈ ગઈ હતી. કેટલાંક લોકો આ બાબતે વાત કરવા તૈયાર નથી પણ મને આશા છે કે સારા દિવસો ફરીથી પાછા આવશે અને પરિસ્થિતિ પહેલાં જેવી સામાન્ય થઈ જશે.
તમને જણાવી દઈએ કે, અદિતી ગુપ્તા અભિનેત્રીની સાથે મોડલ અને ફૅશન ડિઝાઈનર પણ છે. તેણે એકતા કપૂરની ટીવી સિરિયલ ‘કિસ દેશ મૈં હૈ મેરા દિલ’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ અનેક ટીવી સિરિયલમાં કામ કર્યું છે. વર્ષ 2018માં અદિતીએ કબીર ચોપરા સાથે લગ્ન કર્યાં હતાં.