પહેલાં કરતાં અત્યારના ઍક્ટર્સ માટે ઍક્ટિંગ કરવી સરળ છે:નીતીશ ભારદ્વાજ
નીતીશ ભારદ્વાજ
બી. આર. ચોપડાના માયથોલૉજિકલ શો ‘વિષ્ણુ પુરાણ’માં જોવા મળેલા નીતીશ ભારદ્વાજનું કહેવું છે કે પહેલાંના સમય કરતાં અત્યારના એક્ટર્સ માટે એક્ટિંગ કરવી સરળ છે. ઝીટીવી પર આવતા ‘વિષ્ણુ પુરાણ’ માટે નીતીશ ભારદ્વાજે વિષ્ણુનાં દસ પાત્રો ભજવ્યાં હતાં. આ તમામ પાત્ર અલગ હતાં અને પાત્રોનો માઇન્ડ સેટ પણ અલગ હતો એથી તેણે ઘણી ચૅલેન્જિસનો સામનો કરવો પડ્યો હતો. એ સમયની વાત કરતાં નીતીશ ભારદ્વાજે કહ્યું હતું કે ‘માયથોલૉજિકલ પાત્રોને ઑનસ્ક્રીન ભજવવાં ખૂબ જ મુશ્કેલ અને ડિફિકલ્ટ હતું અને એ સમયે ભાષાને લઈને તેમ જ પાત્રોને લઈને જે પણ સમસ્યા આવતી એનું સમાધાન ખૂબ જ સરળતાથી કરવામાં આવતું. ભાષાને લઈને જે સમસ્યા છે એ માટે દરેક ઍક્ટરે ખૂબ જ મહેનત કરવી પડે છે. મુંબઈ જેવી મેટ્રો સિટી કરતાં હિન્દી ભાષામાંથી આવેલા ઍક્ટર્સને ખૂબ જ સરળતા રહેતી હતી. હું મરાઠી લિટરેચર અને પ્રેમચંદ, દિનકર, શ્રીલાલ શુક્લાને વાંચીને મોટો થયો છું એથી મારી શુદ્ધ હિન્દી અને સંસ્કૃત સારાં હતાં. આથી મારા પાત્રમાં મને મદદ મળી રહી હતી. એ સમયે અમારે કોઈ પણ કટ વગર ખૂબ જ લાંબાં-લાંબાં દૃશ્યો શૂટ કરવા પડતાં હતાં. વૅનિટી વૅન જેવું કંઈ હતું નહીં. આઉટડોર શૂટિંગ કરવા માટે જે મુશ્કેલીઓ પડતી એને તો ધ્યાનમાં પણ નહોતી લેવામાં આવતી. અમારે એને અનુરૂપ ઍડ્જસ્ટ થવું પડતું હતું. આજના ઍક્ટર્સ માટે આજે આ બધું ખૂબ જ સરળ છે. એ સમયમાં અમે કોઈ પણ ચૅલેન્જને ખૂબ જ સરળતાથી હૅન્ડલ કરતા અથવા તો કહો કે કોઈ પણ મુશ્કેલીને અમે મેજર ચૅલેન્જ તરીકે નહોતા જોતા.’