90ના શો વિશે રણવીર સિંહનું કહેવું છે કે...
રણવીર સિંહનું કહેવું છે કે બાળપણમાં બાળકો જ્યારે બહાર રમતાં ત્યારે તે ટીવીની સામે બેસીને શો જોયા કરતો હતો. રણવીર ગોવિંદાનો ખૂબ જ મોટો ફૅન છે. તેમ જ તે અક્ષયકુમાર અને શાહરુખ ખાન જેવા ઍક્ટર્સની ફિલ્મો જોઈ-જોઈને મોટો થયો છે. તેને ઍક્ટર બનવાની ઇચ્છા 90ના દાયકાના શો અને ફિલ્મોને કારણે થઈ હતી. આ વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે ‘હું 90ના દાયકાનો બાળક છું. ૧૯૮૫માં જન્મ થયો હોવાથી હું 90ના દાયકાને ખૂબ જ પસંદ કરું છું. ફિલ્મો, મ્યુઝિક, પૉપ કલ્ચર અને ફૅશનથી લઈને હું દરેક વસ્તુ એ દાયકાની ફૉલો કરતો હતો. તમે જે પસંદ કરો છો એ તમારી સાથે હંમેશાં રહે છે. મને યાદ છે કે હું ‘ઝબાન સંભાલ કે’ અને ‘દેખ ભાઈ દેખ’ જેવા શો જોતો હતો. હું ટીવીની સામે બેસી રહેનારો બાળક હતો. હું ટીવીની પ્રોડક્ટ છું. બાળકો જ્યારે બહાર રમતાં ત્યારે હું ટીવી સામે બેસી રહેતો. હું જ્યારે વીસીઆર પર ફિલ્મ નહોતો જોતો ત્યારે હું દૂરદર્શન જોતો રહેતો. ‘મહાભારત’, ‘રામાયણ’ અને ‘છાયા ગીત’ની હું આતુરતાથી રાહ જોતો હતો. મારા માટે એ ઇવેન્ટ સમાન હતી. હું હંમેશાં ટીવી જોતો રહેતો. એમાં ડબ્લ્યુડબ્લ્યુએફનો પણ સમાવેશ થતો હતો. મારી મમ્મી જ્યારે તેની પસંદગીના શો જોતી ત્યારે પણ હું એ શો જોતો રહેતો હતો.’