ડરમાં શાહરુખના કૅરૅક્ટરને ના પાડવાનો પસ્તાવો આજે પણ છે રાહુલ રૉયને
‘આશિકી’ ફિલ્મ કાસ્ટ
‘આશિકી’થી ફેમસ થયેલા રાહુલ રૉયને આજે પણ એ વાતનો પસ્તાવો છે કે તેણે ‘ડર’માં શાહરુખ ખાનનું કૅરૅક્ટર કરવાની ના પાડી હતી. આ રોલને ના પાડ્યા બાદ શાહરુખને આ ફિલ્મ મળી અને ફિલ્મે તેની કરીઅરને એક નવી દિશા આપી દીધી. તાજેતરમાં જ ‘આશિકી’ના કલાકારો રાહુલ રૉય, અનુ અગ્રવાલ અને દીપક તિજોરી ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યાં હતાં. આ ફિલ્મની રિલીઝનાં ૩૦ વર્ષ થવા નિમિત્તે આ કલાકારો આ શોમાં હાજર રહ્યા હતા. ફિલ્મ ખાસ્સી સફળ રહી હતી. સોની ચૅનલ પર આ શો શનિવારે અને રવિવારે રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. ‘ડર’ ફિલ્મ વિશે રાહુલ રૉયે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘આશિકી’ બાદ છ મહિના સુધી મને કોઈ કામ મળ્યું નહીં. જોકે અચાનક મને એકસાથે ૪૯ ફિલ્મોની ઑફર મળી હતી. એમાંથી કઈ ફિલ્મ કરવી અને કઈ ન કરવી એની મને યોગ્ય જાણ નહોતી. મને આજે પણ યાદ છે કે યશ ચોપડાજીએ મને ફિલ્મના નરેશન માટે બોલાવ્યો હતો. હું અન્ય ફિલ્મોમાં બિઝી હતો. તેમની ઑફર હું સ્વીકારી શક્યો નહોતો, કેમ કે મારી કેટલીક ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને ફિલ્મમેકર્સ વચ્ચે મારી તારીખોને લઈને ઘમસાણ મચ્યું હતું. તમને જણાવી દઉં કે એ ફિલ્મ યશ ચોપડાજીની ‘ડર’ હતી. બાદમાં એ ફિલ્મ શાહરુખ ખાનને મળી હતી. એ ફિલ્મને કારણે તેની કરિઅરને નવી દિશા મળી ગઈ હતી. ફિલ્મમાં રાહુલનું પાત્ર મને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યું હતું. મને આજે પણ એ ફિલ્મ ન કરવાનો પસ્તાવો થઈ રહ્યો છે. જોકે આ જ લાઇફ છે. હું નવ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યો હતો. એ મારી જ ચૉઇસ હતી. એથી હું કોઈ ફરિયાદ પણ નથી કરતો.’