લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ ન થાય ત્યાં સુધી ફોન બંધ રાખશે આમિર ખાન
લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ ન થાય ત્યાં સુધી ફોન બંધ રાખશે આમિર ખાન
આમિર ખાન તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં કોઈ અડચણ ન આવે એ માટે પોતાના ફોનને પૂરી રીતે બંધ રાખવાનો છે. બૉલીવુડમાં તે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતો છે. તેણે ગઈ કાલથી જ પોતાનો ફોન બંધ કરવાનું નક્કી કર્યું છે. તે હાલમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’માં બિઝી છે. આ સિવાય તે તેના સૌથી જૂના ફ્રેન્ડ અમીન હાજીના ડિરેક્શનમાં બનનારી પહેલી ફિલ્મ ‘કોઈ જાને ના’માં નાનકડી ભૂમિકા ભજવવાનો છે. એના માટે ‘લાલ સિંહ ચઢ્ઢા’માંથી સમય કાઢીને તે જયપુર પહોંચી ગયો હતો. હવે એવું જાણવા મળ્યું છે કે તે મુંબઈ આવી ગયો છે અને પોતાની ફિલ્મનું બાકી રહેલું કામ પૂરું કરશે. આ ફિલ્મ ૨૦૨૧ના ક્રિસમસમાં રિલીઝ થવાની છે. આ જ કારણ છે કે પોતાની ફિલ્મનું કામ સમયસર પૂરું થાય એ માટે તેણે મોબાઇલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમિરનું માનવું છે કે તે સેલફોનનો ઍડિક્ટેડ છે એને કારણે તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ પર અસર થાય છે. એથી તેણે ફોન વગરના જૂના દિવસોમાં જવાનું નક્કી કર્યું છે. સાથે જ આમિરે તેની નજીકના લોકોને જણાવી રાખ્યું છે કે જો કોઈ ઇમર્જન્સી હોય કે પછી કામને લગતી કોઈ બાબત હોય તો તેના મૅનેજરનો સંપર્ક કરવો. આ સિવાય જ્યાં સુધી તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ નહીં થાય ત્યાં સુધી તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પણ તેની ટીમ જ સંભાળશે.