હવે આમિર ખાનનો ફોન કોઇ બીજું ઉપાડશે, જાણો શું છે કારણ
આમિર ખાન - તસવીર - યોગેન શાહ
આમિર ખાને મોબાઈલ ડિટોક્સિંગનો નિર્ણય લીધો છે. અત્યારે આમિર ખાન પોતાના મિત્ર અમીન હાજીની ફિલ્મ 'કોઈ જાને ના'ના ગીત માટે રાજસ્થાનમાં છે. હમણાં આમિરે પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે. જોકે, આ દરમિયાન આમિરે ફોનનો ઉપયોગ ના કરવાનાં સમ ખાધા છે. જ્યાં સુધી 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ નહીં થાય ત્યાં સુધી આમિર ખાન મોબાઈલ હેન્ડસેટ્સને હાથ લગાવશે નહીં.આમિરે 'નો ફોન પોલિસી' માત્ર સેટ પર જ નહીં, પરંતુ પર્સનલ લાઈફમાં પણ અપનાવી છે. આમિરે આજથી એટલે કે પહેલી ફેબ્રુઆરીથી આનો અમલ શરૂ કર્યો છે. પરિવાર તથા નિકટના સાથીઓએ જો આમિરનો સંપર્ક કરવો હશે તો તેમણે એક્ટરના મેનેજર સાથે વાત કરવાની રહેશે. આમિરના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ હવેથી તેની ટીમ જ મેનેજ કરશે. લાલ સિંહ ચઢ્ઢા એ અંગ્રેજી ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું અધિકૃત ભારતીય અડાપ્ટેશન છે. આમિર ખાન રાજસ્થાનથી મુંબઈ પરત ફરીને 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ શરૂ કરશે. આમિરની ફિલ્મની રાહ માત્ર ચાહકો જ નહીં, પરંતુ થિયેટર માલિકો પણ જોઈ રહ્યાં છે. છેલ્લાં એક વર્ષથી કોરોનાને કારણે થિયેટરમાં દર્શકો જતા નથી. આમિરની ફિલ્મનું ડિરેક્શન અદ્વૈત ચંદને કર્યું છે. આમિરની ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થશે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર, મોના સિંહ પણ છે.