આયેશા ઝુલ્કાનો ખુલાસો: બિકીની પહેરવાની શરતને કારણે છોડી હતી આ ફિલ્મ
આયેશા ઝુલ્કા (તસવીર સૌજન્ય: જાગરણ)
'ખિલાડી', 'જો જીતા વહી સિકંદર', 'હિમ્મતવાલા', 'વક્ત હમારા હૈ' તથા 'ચાચી 420' જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી આયેશા ઝુલ્કા (Ayesha Jhulka) લાંબા સમયથી બૉલીવુડથી દુર છે. અભિનેત્રી 2010માં આવેલી ફિલ્મ 'અદા...અ વે ઓફ લાઈફ'માં જોવા મળી હતી અને પછી તે બે વર્ષ પહેલા વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'જીનિયસ'માં જોવા મળી હતી. આયેશા ઝુલ્કાએ તાજેતરમાં એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં ફિલ્મી કારકિર્દી અને લગ્ન અંગે વાત કરી હતી.
આયેશા ઝુલ્કાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના કરિયરમાં ઘણી જ સારી ફિલ્મ ઓફર થઈ હતી અને આ ફિલ્મો ન કરવાનો અફસોસ આજે પણ છે. ડેટ્સ ના હોવાને કારણે તેણે મણિરત્નમની ફિલ્મ 'રોઝા' ઠુકરાવી દીધી હતી. આ ઉપરાંત તેણે રામા નાયડુની ફિલ્મ 'પ્રેમ કેદી' ઓફર થઈ હતી. જોકે, ફિલ્મના ઈન્ટ્રોડક્શન સીનમાં તેને બિકીની પહેરવાની હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
ADVERTISEMENT
ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'મેં બહુ જ નાની ઉંમરમાં બૉલીવુડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. જ્યારે લગ્ન થયા ત્યારે નોર્મલ લાઈફ ઈચ્છતી હતી. મેં મારું જીવન એન્જોય કર્યું. લગ્ન બાદ બૉલીવુડથી દૂર રહેવાનો નિર્ણય એકદમ યોગ્ય હતો. મારે બાળકો નથી, કારણ કે હું બાળકો ઈચ્છતી નથી. હું મારો સમય તથા એનર્જી અનેક કામો અને સામાજીક કાર્યોમાં વાપરું છું. મને આનંદ છે કે મારા નિર્ણયથી મારો પરિવાર સમંત છે. મારા પતિ સમીરે પણ ક્યારેય કોઈ વાતનું દબાણ કર્યું નથી.'
બૉલીવુડથી દૂર હોવા છતા કોના સંપર્કમાં એ વિશે આયેશા ઝુલ્કાએ કહ્યું હતું કે, બૉલીવુડ છોડ્યા બાદ તે જેકી શ્રોફના ટચમાં છે. કારણ તે પણ તેની જેમ સામાજીક કાર્યમાં જોડાયેલા છે. ઉપરાંત ભાગ્યશ્રી, રવીના ટંડન તથા હેમમાલિનીના સંપર્કમાં છે. અભિનેત્રી બૉલિવુડની પાર્ટીઓમાં પણ જતી નથી. બહુ જ જરૂરી હોય તો જ જાય છે.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી આયેશા ઝુલ્કાએ વર્ષ 2003માં બિઝનેસમેન સમીર વાશી સાથે લગ્ન કર્યા હતા. બન્ને અત્યારે મુંબઈમાં જ રહે છે.