આ શોને અનુષ્કા શર્મા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો
ઇશ્વાક સિંહ
ઇશ્વાક સિંહનું કહેવું છે કે ‘પાતાલ લોક’ને કારણે તેને બિગ બ્રેક મળ્યો હતો. આ શોને અનુષ્કા શર્મા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઇશ્વાકે ‘રૉકેટ બૉય્ઝ’માં વિક્રમ સારાભાઈનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર અને શો માટે તેનાં ખૂબ જ વખાણ થયાં હતાં. આ વિશે વાત કરતાં ઇશ્વાકે કહ્યું હતું કે ‘મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યાને દસ વર્ષ થઈ ગયાં છે. જોકે મને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ ‘પાતાલ લોક’એ આપી હતી. એક ઍક્ટર તરીકે મને જે ઓળખ જોઈતી હતી એ મને આ શો દ્વારા મળી હતી. એના દ્વારા મારા કામનાં પણ વખાણ થયાં હતાં. મને પહેલાં પણ જે રોલ ઑફર કર્યા હતા એને લઈને હું દરેકનો આભારી છું, કારણ કે એ પાત્રો વગર આજે હું જ્યાં છું ત્યાં ન પહોંચી શક્યો હોત. જોકે કેટલીક વાર એક રોલ હોય જે તમારા માટે બધા દરવાજા ખુલ્લા કરી દે છે અને ‘પાતાલ લોક’ એવો જ એક રોલ હતો.’