ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘ઇનસાઇડ એજ’થી લોકપ્રિયતા મેળવનાર આ ઍક્ટરનું માનવું છે કે અત્યારે ભલે થિયેટર બંધ છે, પરંતુ એની સરખામણી ઓટીટી સાથે થઈ જ ન શકે
તનુજ વીરવાણી
ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘ઇનસાઇડ એજ’થી લોકપ્રિયતા મેળવનારા અભિનેતા તનુજ વીરવાણીનું કહેવું છે કે કોઈ પણ ઍક્ટર છેવટે તો ફિલ્મો કરવા માગે છે અને સારી સ્ક્રિપ્ટ મળશે તો તે ફિલ્મોમાં પાછો જરૂર જોવા મળશે. ‘લવ યુ સોનિયો’ ફિલ્મથી કરીઅરની શરૂઆત કરનાર તનુજ વીરવાણી ‘પુરાની જીન્સ’, ‘વન નાઇટ સ્ટૅન્ડ’ જેવી ફિલ્મો કર્યા બાદ ઓટીટી તરફ વળી ગયો છે. ‘ઇનસાઇડ એજ’, ‘કોડ એમ’, ‘પૉઇઝન’, ‘મસાબા મસાબા’ જેવી વેબ-સિરીઝ થકી તનુજ વીરવાણી ડિજિટલ દુનિયામાં જાણીતું નામ બની ગયું છે. ફિલ્મોમાંથી હવે ગાયબ થઈ ગયેલા તનુજનું કહેવું છે કે ‘હું ચોક્કસ ફિલ્મોમાં પાછો આવવા માગું છું. હાલ થિયેટર બંધ છે, પરંતુ એની સરખામણી ઓટીટી સાથે ન થઈ શકે, કેમ કે થિયેટરમાં અજાણ્યા લોકો સાથે ફિલ્મ માણે એ ઊર્જા અલગ જ હોય છે. ઓટીટી એ વ્યક્તિગત અનુભવ કરાવે છે.’
તનુજે ઉમેર્યું કે ‘જ્યારે મેં કરીઅરની શરૂઆત કરી ત્યારે ટીવી અથવા ફિલ્મ એમ બે જ ઑપ્શન હતા, પણ ઓટીટી આવવાથી મારા જેવા ઘણા ઍક્ટર્સને કન્ટેન્ટ બેઝ્ડ સિરીઝનો ભાગ બનવાનો મોકો મળ્યો છે. ’