‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને વેબ-શોમાં વ્યસ્ત રહેલા યશ સિંહાનું કહેવું છે કે ટીવી-શોની ડેડલાઇન અને એમાં રહેલો રોમાંચ ફિલ્મોમાં નથી હોતો
યશ સિંહા
‘અફસર બીટિયા’, ‘તીન બહુરાનિયાં’, ‘કોડ રેડ’ ફેમ ઍક્ટર યશ સિંહાનું કહેવું છે કે ફિલ્મો કરતાં ટીવી-શો કરવાની અલગ જ મજા છે અને મોટા ભાગના ટીવી-ઍક્ટર આ વાતથી સહમત થશે. છેલ્લાં પાંચ વર્ષથી ટીવી પરથી ગાયબ રહેલા યશ સિંહા હાલમાં ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટીબટ્ટી’માં જિંદાદિલ વ્યક્તિત્વ ધરાવતા બાળમનોચિકિત્સકનું પાત્ર ભજવી રહ્યો છે. યશ સિંહાનું કહેવું છે કે તે ‘અફસર બીટિયા’ હોય કે પછી ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ દરેક પ્રોજેક્ટમાં મજબૂત રોલ કરવા ઇચ્છે છે અને ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટીબટ્ટી’માં તેનો સાઇકિયાટ્રિસ્ટ તરીકેનો તેનો રોલ સમાજમાં મેન્ટલ હેલ્થને લઈને જાગૃતિ લાવવાનું કામ કરશે.
સામાન્ય રીતે કોઈ પણ ટીવી-ઍક્ટર ફિલ્મોમાં તક શોધતો હોય છે, પણ યશ સિંહાનું કહેવું છે કે ‘ટીવી મને બહુ પ્રિય છે અને હું છેલ્લાં પાંચ વર્ષથી એ મિસ કરતો હતો. ટીવી-શોનો એક અલગ જ માહોલ હોય છે. ડેડલાઇન પૂરી કરવાનો રોમાંચ હોય છે. મોટા ભાગના ટીવી-ઍક્ટર આ વાતથી સહમત થશે, કારણ કે તેમના રોજિંદા જીવનમાં આ વાત વણાઈ ગઈ હોય છે. ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટીબટ્ટી’થી ટીવી પર જાણે મારી ઘરવાપસી થઈ હોય એવું લાગે છે.’