‘મેરે સાંઈ – શ્રદ્ધા ઔર સબૂરી’માં સાંઈબાબાની બહેન ચંદ્રા બોરકરનું પાત્ર મરાઠી ઍક્ટ્રેસ ભાર્ગવી ચિરમુલે ભજવે છે
વાસ્તવિક પાત્ર ભજવતી વખતે જવાબદારી વધી જાય છેઃ ભાર્ગવી ચિરમુલે
‘સંદૂક’, ‘ઈડિઆચી કલ્પના’ અને ‘ઇશ્કવાલા લવ’ સહિતની મરાઠી ફિલ્મોની ઍક્ટ્રેસ ભાર્ગવી ચિરમુલે હાલ સોનીના બાયોગ્રાફિકલ શો ‘મેરે સાંઈ – શ્રદ્ધા ઔર સબૂરી’માં જોવા મળી રહી છે. તેના પાત્રનું નામ ચંદ્રા બોરકર છે. ચંદ્રા બોરકર રિયલ પાત્ર છે જે શિર્ડીવાળા સાંઈબાબાની બહેન હોય છે.
વાર્તા એવી છે કે ચંદ્રાનું તેના પતિ અને બે બાળકો સાથેનું જીવન સુખરૂપ વીતી રહ્યું હોય છે ત્યાં પતિ પરિવારનો ત્યાગ કરવાનો નિર્ણય લે છે, કેમ કે તેને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે અને એ માટે તે પરિવાર પ્રત્યેના કર્તવ્યને બાધારૂપ માનતો હોય છે. સાંઈબાબા તેમની બહેનની આ મુશ્કેલી દૂર કરે છે. તે તેના પતિને સમજાવે છે કે માત્ર જવાબદારી પૂરી કરવાના માધ્યમથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, એનાથી ભાગવાથી નહીં. ભાર્ગવી ચિરમુલેએ આ વાસ્તવિક વાર્તા વિશે વાત કરતાં કહ્યું કે ‘સાંઈની બહેનનું પાત્ર ભજવીને હું પોતાને ભાગ્યશાળી માનું છું કેમ કે હું પહેલાંથી જ બાબાની મોટી ભક્ત રહી છું અને તેમને રાખડી બાંધતી આવી છું. અને મને તેમની બહેનનું જ પાત્ર મળ્યું એ ભાગ્યની વાત છે.’ ભાર્ગવી ચિરમુલે કહ્યું હતું કે જ્યારે વાસ્તવિક પાત્ર પૉર્ટ્રે કરવાનું હોય ત્યારે જવાબદારી વધી જતી હોય છે.